એક અમેરિકી વિશ્વવિદ્યાલયના અભ્યાસમાં ભારતમાં મે મહિનાના મધ્યમાં કોરોના સંક્રમણ પીક પર પહોંચશે તેવો દાવો કરવામાં આવ્યો છે.મે મહિનાના મધ્યગાળામાં દૈનિક મૃત્યુદરનો આંકડો 5600 થઈ જશે અને આ જ સ્થિતિ રહેશે તો એપ્રિલથી ઓગષ્ટ વચ્ચે કોરોના સંક્રમણથી આશરે 3 લાખ લોકો પોતાનો જીવ ગુમાવી દેશે.વોશિંગ્ટન યુનિવર્સિટીના ઈન્સ્ટિટ્યુટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઈવેલ્યુએશન દ્વારા ‘કોવિડ-19 પ્રોજેક્શન’ ટાઈટલ પર અભ્યાસ કરવામાં આવ્યો હતો જે 15 એપ્રિલે પ્રકાશિત થયો હતો.
અભ્યાસમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે કોરોના મહામારીનો આ સમય આગામી સપ્તાહમાં સ્થિતિ વધુ બગાડશે. ભારતમાં સંક્રમણ અને મૃત્યુના વર્તમાન દરના આધાર પર કરવામાં આવેલા અભ્યાસ પ્રમાણે 10 મેના રોજ દૈનિક મૃત્યુ દર 5600એ પહોંચી જશે.એપ્રિલથી ઓગષ્ટ મહિના દરમિયાન 3.29 લાખ લોકોના મોત થશે અને જુલાઈ મહિનાના અંત સુધીમાં મૃતકઆંક 6.65 લાખ સુધી વધી શકે છે.
માસ્ક પહેરવાથી બચી શકે છે 70,000 લોકોનો જીવ
અભ્યાસ પ્રમાણે જો એપ્રિલ મહિનાના ત્રીજા સપ્તાહના અંત સુધીમાં બધા માસ્ક પહેરવાની આદતને ગંભીરતાથી લઈ લેશે તો મૃતકઆંક 70,000 જેટલો ઘટાડી શકાશે.અહેવાલ પ્રમાણે સપ્ટેમ્બર 2020થી ફેબ્રુઆરી 2021ના મધ્યમાં ભારતમાં કોરોના સંક્રમણ અને મૃતકઆંકમાં ઘટાડો નોંધાયો હતો.પરંતુ ત્યાર બાદ અચાનક જ તે ટ્રેન્ડ બદલાઈ ગયો હતો. તેના પાછળનું મુખ્ય કારણ સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ અને માસ્ક પહેરવાની બેદરકારી છે.કોરોનાના કહેર વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી દરરોજ 3 લાખ કરતા પણ વધારે નવા કેસ સામે આવી રહ્યા છે.દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના રેકોર્ડ સમાન 3,46,786 નવા કેસ સામે આવ્યા છે અને 2,624 દર્દીઓના મોત થયા છે.આ સમય દરમિયાન 2,19,838 દર્દીઓ સાજા પણ થઈ ગયા છે.શુક્રવારે પણ દેશમાં 3.32 લાખથી વધારે કોરોનાના નવા કેસ નોંધાયા હતા. દેશમાં વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે હોસ્પિટલોમાં બેડ, ઓક્સિજન જેવી જરૂરી વસ્તુઓની ભારે તંગી સર્જાઈ છે.
દેશમાં શનિવારે જાહેર થયેલા કોરોનાના નવા આંકડાઓમાં રેકોર્ડ સમાન વધારો નોંધાયો છે.દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના રેકોર્ડ સમાન 3,46,786 નવા કેસ સામે આવ્યા હતા જ્યારે 2,624 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.આ બધા વચ્ચે દિલ્હીની જયપુર ગોલ્ડન હોસ્પિટલના એમડી ડૉક્ટર ડીકે બલૂજાએ કરેલા દાવા પ્રમાણે ગઈકાલે સાંજે ઓક્સિજનની તંગીના કારણે આશરે 20 જેટલા અતિ ગંભીર કોરોના દર્દીઓના મોત થયા હતા.
મહારાષ્ટ્રમાં શુક્રવારે 24 કલાકમાં કોરોનાના 66,836 નવા કેસ સામે આવ્યા હતા જ્યારે 74,045 દર્દીઓ સાજા થયા હતા.આ દરમિયાન 773 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.રાજધાની દિલ્હીમાં કોરોનાના 24,331 નવા કેસ સામે આવ્યા હતા અને 348 દર્દીઓના મોત થયા હતા.હાલ દિલ્હીમાં એક્ટિવ કેસ વધીને 92,029 થઈ ગયા છે.