જોહાનિસબર્ગ, તા.૧૯ : કોરોના મહામારીનો સામનો કરી રહેલા દક્ષિણ આફ્રિકામાં હવે પૂરે ભારે વિનાશ વેર્યો છે.દરિયાકિનારાના ક્વાઝુલિ-નટાલ પ્રાંતમાં મૂશળધાર વરસાદ અને પૂરમાં ૪૦૦થી વધુ લોકોના મોત થયા છે જ્યારે ૪૦,૦૦૦થી વધુ પરિવારો બેઘર બની ગયા છે.પૂરે વેરેલા વિનાશને પગલે પ્રમુખ સીરિલ રામફોસાએ રાષ્ટ્રીય હોનારત જાહેર કરી છે.દક્ષિણ-પૂર્વીય દરિયા કિનારાના શહેર ડરબનના કેટલાક ભાગોમાં પણ પૂરનું પાણી ઘૂસી આવ્યો છે.પૂરના કારણે અનેક જગ્યાએ રસ્તાઓ ઊખડી ગયા છે, હોસ્પિટલો અને ઘરો સહિત ઠેરઠેર પાણી ભરાયા છે તથા અંદર ફસાયેલા અનેક લોકો પૂરમાં તણાઈ ગયા છે. સરકારે જણાવ્યું હતું કે, આ પૂરમાં અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક ૪૦૦ને પાર થઈ ગયો છે જ્યારે ૫૦થી વધુ લોકો લાપતા છે.૪૦,૦૦૦થી વધુ લોકો બેઘર બની ગયા છે.હજારો લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.સરકાર હજુ પણ અનેક ઘરોમાં ફસાયેલા લોકોના મૃતદેહો બહાર કાઢી રહી છે.દક્ષિણ આફ્રિકાના પ્રમુખ રામફોસાએ કોરોના મહામારીના કારણે દેશમાં બે વર્ષથી લગાવાયેલા પ્રતિબંધો દૂર કરવાની જાહેરાત કર્યાના એક પખવાડિયામાં જ દેશે નવી કુદરતી આપત્તિનો સામનો કરવો પડયો છે.રામફોસાએ ઉમેર્યું કે, હવામાનની અત્યંત વિપરિત પરિસ્થિતિ અન્ય પ્રાંતો પર પણ અસર કરે તેવી આશંકા છે.ક્વાઝુલુ નટલ પ્રાંતમાં ચાર દિવસથી ચાલતા મૂશળધાર વરસાદના કારણે પૂર આવ્યું હતું.આ પૂર માટે ક્લાઈમેટ ચેન્જ જવાબદાર હોવાનું રામફોસાએ કહ્યું હતું.પૂરના કારણે દક્ષિણ આફ્રિકાના સૌથી વ્યસ્ત બંદરોમાંના એક ડરબનમાં કામગીરી ખોરવાઈ ગઈ હતી.પ્રાંતમાં સેકડો લોકોએ વીજળી અને પાણી વિના રહેવું પડયું છે.