– ઝુલુ રાજાએ ભારતવંશીઓ પર હુમલા અટકાવવાની અપીલ કરી
– વિદેશમંત્રી એસ. જયશંકરે આ મુદ્દે ચિંતા વ્યક્ત કરીને દક્ષિણ આફ્રિકા સાથે વાત કરી
દક્ષિણ આફ્રિકામાં પૂર્વ રાષ્ટ્રપતિ જૈકબ જુમાના જેલ ગયા પછી શરૂ થયેલી હિંસામાં અત્યારસુધીમાં 72 લોકોનાં મોત થયાં છે.અહી હુમલાખોરોએ દુકાનો પણ લૂંટી હતી અને એ દરમિયાન થયેલી દોડા-દોડીમાં ઘણા લોકોનાં મોત થયાં છે.પોલીસ અને સેનાને સ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે સ્ટન ગ્રેનેડ અને રબર બુલેટ્સથી ફાયરિંગ કરવું પડ્યું હતું.અત્યાર સુધીમાં 1200થી વધારે લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે.આ હિંસા દેશનાં બે રાજ્યોના ગરીબ વિસ્તારોમાં થઈ છે.અહીં હુમલાખોરેએ એક રેલવે સ્ટેશનમાં તોડફોડ કરી છે અને એને કારણે એ બંધ કરવું પડ્યું છે.
દેશમાં સ્થિતિ એટલી હદે ખરાબ થઈ છે કે વેક્સિનેશન સેન્ટર્સ બંધ કરવા પડ્યાં છે.પરિણામે, છેલ્લા બે દિવસથી ઘણા લોકોને વેક્સિન મળી શકી નથી.પોલીસ મેજર જનરલ મથાપેલો પીટર્સે મંગળવારે રાતે એક નિવેદનમાં કહ્યું હતું કે ગૌતેંગ અને ક્વાજુલુ-નતાલ રાજ્યોમાં ઘણાં મોત ભાગદોડને કારણે થયાં છે,કારણ કે હજારો લોકો દુકાનોમાંથી ખાવાની વસ્તુઓ, ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ, દારૂ અને કપડાંની ચોરી કરવા લાગ્યા હતા.તેમણે કહ્યું હતું કે ક્વાજુલુ-નતાલ પ્રાંતમાં 27 અને ગૌતેંગ રાજ્યમાં 45 મોતની તપાસ કરવામાં આવી રહી છે.પોલીસ ફાયરિંગમાં પણ થયેલાં મોતની તપાસ કરવામાં આવશે. અમુક લોકોનાં મોત ગોળીબારને કારણે પણ થયાં છે.
દક્ષિણ આફ્રિકામાં હિંસા કેમ ફેલાઈ?
હિંસાની શરૂઆત ગયા ગુરુવારે થઈ,જ્યારે પૂર્વ રાષ્ટ્રપતિ જુમાએ 15 મહિનાની જેલની સજા ભોગવવા માટે સરન્ડર કરી દીધું.ત્યાર પછી તેમને જેલમાં બંધ કરી દેવામાં આવ્યા હતા.ત્યાર પછી આ બંને રાજ્યોમાં હિંસા ફેલાઈ અને મોટી માત્રામાં લૂંટફાટની ઘટના સામે આવી છે. જોકે સારી વાત એ છે કે આ હિંસા આફ્રિકાનાં અન્ય રાજ્યો સુધી નથી ફેલાઈ.પોલીસ સંપૂર્ણ રીતે અલર્ટ છે. દક્ષિણ આફ્રિકાની 6 કરોડની વસતિમાં અડધા ઉપરની વસતિ ગરીબીમાં જીવન પસાર કરે છે.દેશમાં બેરોજગારીનો દર 32 ટકા છે.આ જ કારણ છે કે લોકો હિંસાની આડમાં લૂંટફાટ શરૂ કરી દે છે.
જેકબ જુમા જેલ કેમ ગયા
પૂર્વ રાષ્ટ્રપતિ જેકબ જુમા પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમના કાર્યકાળમાં ખૂબ ભ્રષ્ટાચાર થયો છે.આ મુદ્દે તપાસ શરૂ કરવામાં આવી. તપાસ દરમિયાન જુમાને તપાસ અધિકારીઓ અને કોર્ટ સામે રજૂ થવાનું હતું, પરંતુ તેઓ કોર્ટમાં હાજર થયા નહીં. માટે કોર્ટે તેમને કોર્ટના અવમાનનાના દોષિત ગણીને 15 મહિનાની જેલની સજા આપી.જેકબ જુમાએ તેના પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપોને નકારી દીધા છે.જ્યારે તેમને સજાની સુનાવણી કરવામાં આવી ત્યારે તેમણે ગયા સપ્તાહે જેલની સજા પૂરી કરવા પોલીસ સામે સરન્ડર કરી દીધું હતું.તેઓ દેશની બંધારણીય કોર્ટ દ્વારા સજા રદ અથવા ઓછી કરવાની આશા રાખી રહ્યા છે.જોકે કાયદાકીય નિષ્ણાતોનું કહેવું છે કે તેમની સજામાં ઘટાડો થવો કે રદ થવાની શક્યતા ઓછી છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ભારતીયો અને ભારતીય મૂળના આફ્રિકન નાગરિકોની સંપત્તિને આગ લગાવવી અને લૂંટફાટની ઘટનાઓ બની રહી છે.આવા સમાચારો વિશે આફ્રિકન સરકારનું કહેવું છે કે આવું કરનારા લોકો રાજકીય અથવા જાતિવાદથી પ્રેરિત છે.જોકે તેઓ ક્રિમિનલ છે,જમનો હેતુ મોકાનો ફાયદો લઈને લૂંટફાટ કરવાનો હેતુ છે.

આફ્રિકામાં રહેતા ભારતીયોએ સરકાર પાસે મદદ માગી
સાઉથ આફ્રિકામાં રહેતા ભારતીયોએ ભારત સરકાર પાસે મદદ માગી હતી.સોશિયલ મીડિયા પર સતત સાઉથ આફ્રિકાથી મેસેજ શેર કરવામાં આવતા હતા.એક મેસેજમાં લખવામાં આવ્યું હતું કે ક્વાજુલુ નતાલ અને જોહાનિસબર્ગમાં ભારતીયોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. સાઉથ આફ્રિકામાં 13 લાખ ભારતીયો રહે છે.બધાને જોખમ નથી,પરંતુ અમુક વિસ્તારોમાં ભારતીયોને જોખમ છે.અમે લોકો સાઉથ આફ્રિકન સરકાર પાસે મદદ માગી રહ્યા છીએ,પરંતુ હજી સુધી કોઈ મદદ મળી નથી.
વિદેશમંત્રી એસ. જયશંકરે દક્ષિણ આફ્રિકા સાથે કરી વાત
દક્ષિણ આફ્રિકામાં ફેલાયેલી હિંસા અને રમખાણો વચ્ચે વિદેશમંત્રી એસ. જયશંકરે આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે અને દક્ષિણ આફ્રિકા સાથે વાત કરી છે. આ વિશે સમકક્ષ નલેદી પંડોર તરફથી ભારતીયોની સુરક્ષાનો વિશ્વાસ આપવામાં આવ્યો છે.શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ)ની બેઠકમાં સામેલ થવા માટે તઝાકિસ્તાનની મુલાકાતે ગયેલા જયશંકરે ટ્વીટ કર્યું છે, ‘દક્ષિણ આફ્રિકાના વિદેશમંત્રી નલેદી પંડોર સાથે વાતચીત થઈ છે.તેમણે આશ્વાસન આપ્યું છે કે તેમની સરકાર કાયદો-વ્યવસ્થા લાગુ કરવા માટે શક્ય દરેક પ્રયત્ન કરી રહી છે.સામાન્ય સ્થિતિ અને શાંતિને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.’

ઝુલુ રાજાએ ભારતવંશીય વિરુદ્ધ હિંસા રોકવાની અપીલ કરી
ઝુલુ રાજા મિસુજુલુ કાજ્વેલિથિને ક્વાજુલુ રાજ્યના લોકોને ભારતીય મૂળના લોકો સાથે શાંતિથી રહેવાની અપીલ કરી છે.દક્ષિણ આફ્રિકામાં 13 લાખ ભારતવંશીઓમાંથી એક તૃતીયાંશ લોકો આ રાજ્યમાં રહે છે.સતત છઠ્ઠા દિવસ સુધી હિંસા અને લૂંટફાટની ઘટનાઓ પછી ટેલિવિઝન દ્વારા કરવામાં આવેલા સંબોધનમાં તેમણે કહ્યું હતું કે ઝુલુમાં સ્થાનિક લોકો ભારતવંશીઓ સાથે જે પણ ખરાબ વર્તન કરી રહ્યા છે એ તાત્કાલિક બંધ કરવામાં આવે.
સશસ્ત્ર ગેંગે દેશના ઘણા ભાગમાં ખાસ કરીને ડરબનમાં ભારતીય મૂળના લોકોની ફેક્ટરીઓ, દુકાનમાં તોડફોડ કરી છે.મિસુજુલુ કાજ્વેલિથીને કહ્યું હતું કે આપણા ભારતીય ભાઈઓ આપણા પડોશી છે અને ભારત બહાર ક્વાજુલુ નતાલમાં ભારતવંશીઓની વસતિ પણ વધારે છે.
દક્ષિણ આફ્રિકામાં ભારતીયો જ કેમ નિશાના પર
આ તોફાનો દરમિયાન કેટલાંક તત્ત્વોએ ઇરાદાપૂર્વક ભારતીયોને નિશાન બનાવ્યા હતા, કારણ એ કે જેકોબ ઝુમાએ મૂળ ભારતના ગુપ્તા બ્રધર્સ સાથે મળી ભ્રષ્ટાચાર કર્યાના આક્ષેપ થયા છે. યુપીના સહારનપુરના ગુપ્તા પરિવારનું દક્ષિણ આફ્રિકામાં 10 અબજ ડોલરનું સામ્રાજ્ય છે.આ ગુપ્તા બ્રધર્સની કંપનીમાં જેકોબ ઝુમાની એક પત્ની,પુત્રી અને પુત્ર ઉચ્ચ હોદ્દા ધરાવે છે.તેમનો બીજો એક પુત્ર ગુપ્તા એમ્પાયરની અનેક કંપનીઓમાં ડાયરેક્ટર છે.ગુપ્તા બ્રધર્સની રાજકીય વગ એવી હતી કે પ્રધાનમંડળમાં સ્થાન મેળવવા દક્ષિણ આફ્રિકાની સત્તાધીશ પાર્ટીના અનેક આગેવાનો તેમની શરણે જતા. દક્ષિણ આફ્રિકામાં સાચા પ્રમુખ જેકોબ ઝુમા નહીં, પણ ગુપ્તા બ્રધર્સ છે એવી ટીકા થતી રહેતી.
જેકોબ સામે ગુપ્તા બ્રધર્સને ફાયદો કરાવે એવી નીતિ ઘડવાનો આક્ષેપ હતો. દક્ષિણ આફ્રિકામાં લોકો માને છે કે ગુપ્તા બ્રધર્સે દેશને લૂંટી લીધો છે.તોફાનો શરૂ થયા પછી સોશિયલ મીડિયા પર ગુપ્તા બ્રધર્સ અને ભારતીયો સામે બદલો લેવાનું આહવાન કરતી પોસ્ટ વાઇરલ થવા લાગી હતી. એક વ્યક્તિએ ટ્વીટ કર્યું કે જેકોબે ભારતીયોને દેશ વેચી દીધો હતો એ ભૂલશો નહીં.આવા એક સુનિયોજિત કેમ્પેન બાદ ભારતીય પરિવારો અને વ્યાપાર સંકુલો પર ખતરો વધ્યો હતો.
ભારતીયો પર દમનનો દક્ષિણ આફ્રિકાનો જૂનો ઈતિહાસ
દક્ષિણ આફ્રિકામાં ભારતીયો સાથે આવું પહેલી વખત નથી બન્યું. ભારતીયો પર દમનનો ત્યાંનો બહુ જૂનો ઇતિહાસ છે. 1949માં ત્રણ દિવસનાં તોફાનોમાં ભારતીય લોકોનો સામૂહિક સંહાર કરવામાં આવ્યો હતો. ભારતીય વેપારીઓની દુકાનો લૂંટી લેવામાં આવી હતી, મકાનો બાળી નાખ્યાં હતાં.મહિલાઓ પર જાતીય અત્યાચારની ઘટનાઓ બની હતી. 142 ભારતીયોની હત્યા કરી 300 મકાનો સળગાવી દેવાયાં હતાં. બીજી 2 હજાર મિલકતોમાં તોડફોડ અને લૂંટફાટ કરાઇ હતી.આ તોફાનો મૂળ અશ્વેત આફ્રિકનોએ કર્યા હતા પણ ભારતીયોના આર્થિક વિકાસથી બળી મરતા ગોરા નાગરિકોએ તોફાનીઓને મદદ કરી હતી.આ તબાહી જોઈને ગોરી મહિલાઓએ રસ્તા પર ડાન્સ કર્યા હતા.ભારતીયોનું સર્વસ્વ લૂંટાઈ ગયું હતું. 40 હજાર લોકોને શરણાર્થી છાવણીઓમાં આશરો લેવાની ફરજ પડી હતી.આ તોફાનોથી હતાશ થઈને અનેક લોકોએ બાદમાં આપઘાત કરી લીધો હતો.દક્ષિણ આફ્રિકામાં અત્યારે 14 લાખ ભારતીયો વસે છે, જેમાંથી 9.50 લાખ ડરબન અને એની આસપાસના વિસ્તારમાં છે. ડરબન અને જોહાનિસબર્ગને જોડતા માર્ગ પર જંગી હિન્દી કોલોનીઓ નિર્માણ પામી છે.
દક્ષિણ આફ્રિકા સાથે ભારતનો જૂનો નાતો છે. 1860માં મદ્રાસથી સૌપ્રથમ 340 મજૂરો શેરડીના ખેતરોમાં મજૂરી કરવા દક્ષિણ આફ્રિકા પહોંચ્યા હતા.બાદમાં ગુજરાતી મેમણો અને સુરતીઓએ ત્યાં વેપાર-ધંધા શરૂ કર્યા અને અઢળક કમાણી કરી. 1860માં પહેરેલા લૂગડે ગયેલા ભારતીયો આજે પોતાની કોઠાસૂઝ અને આકરી મહેનતથી ખૂબ સમૃદ્ધ છે.બીજી તરફ દક્ષિણ આફ્રિકાના 60 ટકા લોકો ગરીબીમાં સબડે છે.બેરોજગારી દર 32 ટકા પર પહોંચ્યો છે.કોરોનાને કારણે હજારો લોકોએ નોકરી ગુમાવી છે. વેપાર-ધંધા પડી ભાંગ્યા છે.આ સંજોગોમાં બે પાંદડે થયેલા ભારતીયો સામે મૂળ નાગરિકોમાં ભારોભાર ઇર્ષ્યાની લાગણી છે.આ તોફાનોમાં એટલે જ ભારતીયો પર આક્રમણ માટે ઉશ્કેરણી કરવામાં આવે છે. બીજી તરફ ભારતીયો સ્વરક્ષણ માટે સજ્જ છે.દરેક કોલોનીઓમાં હથિયારધારી યુવાનો ચોકીપહેરો કરે છે. ભારતીયો અને તેમની પ્રાઇવેટ સિક્યોરિટી આર્મી ખુલ્લા વાહનોમાં રાઈફલો અને આર્ટિલરી સાથે પેટ્રોલિંગ કરતા હોય તેવાં દૃશ્યો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યાં છે.દક્ષિણ આફ્રિકા ટેક્સપેયર યુનિયનના ચેરમેન વિલિયમ પીટઝર ભારતીયોના આ નવા સ્વરૂપથી આશ્ચર્યચકિત છે. તેમણે ભારતીયોની હિંમતને સલામ કરી અને કહ્યું કે સ્વરક્ષણ કેમ કરવું એ બધાએ ભારતીયો પાસેથી શીખવું જોઈએ.દક્ષિણ આફ્રિકામાં અત્યારે ભારતીયો માટે અસ્તિત્વ ટકાવવાના જંગ જેવી સ્થિતિ છે ત્યારે હિંમત હાર્યા વગર આપણા બહાદુર યુવાનો સામી છાતીએ આક્રમણખોરો સામે લડવા રસ્તા પર ઊતરી આવ્યા છે.સામાન્ય રીતે અહિંસા પરમો ધર્મમાં માનતા ભારતીયોએ સાબિત કર્યું છે કે જરૂર પડ્યે પારકા દેશમાં પણ તેઓ હથિયાર ધારણ કરી શકે છે અને દુશ્મનોના દાંત ખાટા કરી નાખવાની શક્તિ પણ ધરાવે છે. ભારતીયો ખોંખારો ખાયને કહે છે કે આ 1860 પણ નથી અને 1949 પણ નથી.


