નવી િદલ્હી : દેશમાં એપ્રિલ મહિનામાં શરૂ થયેલા કોરોના વાયરસની બીજી લહેરને કારણે ભારે તબાહી સર્જાઇ છે.આ તમામની વચ્ચે નરેન્દ્ર મોદી સરકારના બીજા વખતના કાર્યકાળના બે વર્ષ પણ થોડાક દિવસ અગાઉ પૂર્ણ થઇ ગયા છે.ગત સાત વર્ષોમાં પહેલી વખત કોરોનાને કારણે મોદી સરકારની પહેલી વખત આટલી ટીકા થઇ રહી છે.તાજેતરના એક સર્વેમાં મોદી-૨.૦થી નારાજગીનું સૌથી મોટું કારણ કોરોના મહામારી બની છે.આ સર્વેમાં કહેવાયું છે કે બીજા કાર્યકાળમાં મોદી સરકાર જે રીતે કોરોનાનો સામનો કરી રહી છે તેનાથી લોકો નારાજ છે.ગ્રામ્ય વિસ્તારોની સરખામણીએ આ નારાજગી શહેરમાં રહેતા લોકોમાં વધુ છે.એબીપી ન્યૂઝ-સી વોટર દ્વારા મોદી સરકારના બીજા કાર્યકાળના બે વર્ષ પૂર્ણ થયા બાદ એક સર્વે કરાયું હતું.જેમાં જાહેર થયું હતું કે શહેરમાં રહેતા ૪૪ ટકા લોકો મોદી સરકારની કોરોના સામે કામ કરવાની પદ્ધતિથી ખાસ્સા નારાજ છે.જોકે ગ્રામ્ય વિસ્તારોમાં આ નારાજગી માત્ર ૪૦ ટકા જ છે.
સર્વેમાં ખેડૂત કાયદા અંગે માત્ર ૨૦ ટકા લોકો જ નારાજ છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં નારાજગીનું પ્રમાણ વધીને ૨૫ ટકાએ પહોંચ્યું છે.જાણવાની વાત એ છે કે કેન્દ્રસરકારે ગત વર્ષે ત્રણ નવા કાયદા જારી કર્યા હતા.જે અંગે પંજાબ,હરિયાણા,પશ્ચિમ બંગાળ સહિત અનેક વિસ્તારોમાં ખેડૂત પ્રદર્શન કરી રહ્યા છે.છ મહિના બાદ પણ દિલ્હીની વિવિધ સરહદો પર આ પ્રદર્શન જારી છે.
સીએએ મામલે દિલ્હીમાં થયેલા રમખાણો પર કેટલા લોકો નારાજ છે તે અંગે સર્વેમાં સવાલ કરાયો તો તેમણે સીએએ મામલે ગત વર્ષના પ્રારંભમાં દિલ્હીમાં થયેલા રમખાણો અંગે શું અભિપ્રાય આપે છે તો શહેરના નવ ટકા લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી.એવી જ રીતે ગામડાઓના નવ ટકા લોકો મોદી સરકારના બીજા કાર્યકાળથી દિલ્હી રમખાણો અંગે નારાજ છે.આ ઉપરાંત ચીન સરહદી વિવાદ પર શહેરના સાત ટકા,ગામના ૧૦ ટકા લોકો નારાજ છે.સર્વેમાં
જણાવાયું છે કે અન્ય મુદાઓ અંગે શહેરી વિસ્તારમાં ૨૦ ટકા અને ગ્રામ્ય વિસ્તારના ૧૭ ટકા લોકોએ તેમની નારાજગી દર્શાવી છે.
સર્વેમાં ઉમેરાયું છે કે લોકોને સવાલ કરાયો કે તેમના માટે દેશમાં આજના સમયે સૌથી મોટી પરેશાની શું છે તો ૩૬ ટકા લોકોએ કોરોના વાયરસને તેમની સમસ્યા તરીકે જાણ કરી હતી.બેરોજગારી મામલે ૧૮ ટકા લોકોએ સમસ્યા હોવાનું સ્વીકાર્યું હતું. બીજી બાજુ મોંઘવારીથી ૧૦ ટકા લોકો પરેશાન છે. ભ્રષ્ટાચાર અંગે સાત ટકા લોકોએ મુશ્કેલી હોવાની જાણ કરી છે,જ્યારે ચાર ટકા લોકોએ કૃષિ ક્ષેત્રને પરેશાની તરીકે ગણાવી હતી.આ સર્વે ૨૩થી ૨૭ મેની વચ્ચે કરાયું હતું.જેમાં આશરે ૧૨,૦૦૦થી વધુ લોકોને આવરી લેવાયા હતા.