સુરત : ચૂંટણી ઓળખકાર્ડ ફરજિયાત બનાવાયા બાદ ભારે વિરોધ ઉઠવાની સાથે જ યુનિવર્સિટી દ્વારા પરિપત્ર જારી કરીને ચૂંટણી ઓળખકાર્ડ સ્નાતક તેમજ અનુસ્નાતક કક્ષાએ ફરજિયાતના બદલે હવે મરજિયાત કરી દેવાતા કોલેજો પરથી વિદ્યાર્થીઓ પરીક્ષા ફોર્મ ભરી રહ્યા છે.નર્મદ યુનિવર્સિટી દ્વારા એક પરિપત્ર જારી કરીને સપ્ટેમ્બર-2022 માં લેવાનારી પરીક્ષા માટે જે વિદ્યાર્થીઓ ફોર્મ ભરવાના છે તે તમામ વિદ્યાર્થીઓ માટે ચૂંટણી ઓળખકાર્ડ આપવા ફરજિયાત કરી દેવાયા હતા.જેના પગલે ઘણા વિદ્યાર્થીઓ પાસે ચૂંટણી ઓળખકાર્ડ નહીં હોવાથી કોલેજો આવેદન નહીં સ્વીકારવાથી વિદ્યાર્થીઓ ટેન્શનમાં આવી ગયા હતા.આ અંગે સેનેટ સભ્ય ભાવેશ રબારીએ પણ રજુઆતો કરી હતી.તેમ છતા પણ કોલેજો યુનિવર્સિટીના પરિપત્રને ધ્યાનમાં રાખીને ફોર્મ સ્વીકારતા નહોતા.આ ફરિયાદ ફરી વાજતે ગાજતે નર્મદ યુનિવર્સિટી સુધી પહોંચતા ફરી એકવાર પરિપત્ર કરીને સ્નાતક તથા અનુસ્નાતક કક્ષાએ વોટરકાર્ડ મરજિયાત કરી દેવાયો છે.જેના પગલે કોલેજના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓના પરીક્ષા આવેદન સ્વીકારવાની શરૃઆત કરતા રાહત થઇ ગઇ છે.