સરકારની ઘર ઘર સુધી પાણી નળ દ્વારા પહોંચાડવાની યોજના નલ સે જલ સાચા અર્થમાં ગરીબ અને ગામડાઓના લોકો માટે આશીર્વાદ સ્વરૂપ પુરવાર થઇ શકે એમ છતાં સરકારની યોજનાઓમાં કટકી કાઢી ખાવાની ખોટી દાનત ધરાવતા કોન્ટ્રાકટર અને તેઓની સાથે સ્થાનિક નેતાઓની મિલી ભગતને લઇને આ યોજના નિષ્ફળ જાય એમ લાગી રહ્યું છે.
આ માટેનો જીવતો જાગતો દાખલો પંચમહાલના મોરવા હડફના ગામોમાં જોવા મળે છે,મોરવા હડફ તાલુકાની વાત કરીએ તો હાલ મોરવા હડફ તાલુકામાં નલ સે જલ યોજના હેઠળ 45000 કુટુંબોને નળ કનેક્શન આપવાના છે.એ પૈકી સરકારી ચોપડે 23ગામોમાં કામો પુર્ણ થયેલ છે અને 14022 કુટુંબોને નળ કનેકશન મળી ગયા એમ જાણવાઈ રહ્યું છે.જોકે હકીકત જુદી છે અને 32 ગામોમાં હજુ કામગીરી ચાલી રહી છે જે કેવી ચાલે છે અમે આ રિપોર્ટ માં બતાવીએ છીએ.મોરવા હડફનું પરબીયા ગામ જ્યાં માત્ર 1500ની વસ્તી વસે છે અને અહીં સરકાર દ્વારા 69લાખ જેટલી માતબર રકમ નલસે જલ માટે ફાળવીને ગામના ઘર સુધી પાણી પહોંચાડવાનું નક્કી કરાયું અને આ બાબતનો કોટ્રાકટ કોઈ ઉત્તર ગુજરાતના વ્યક્તિ એ આપી દેવાયો જોકે ગામ ના સરપંચ મહિલા છે અને વહીવટ તેઓના પતિદેવ કરે છે.જેથી સરપંચ પતિ આ મામલે કશુંય જાણતા નથી એમ કહી છટકવાની કોશિશમાં છે અને બસ આ જ વાતનો લાભ આ યોજના માટે કામ કરતા કોન્ટ્રાકટરે સારી રીતે ઉઠાવ્યો છે.
સ્થળ પર જયારે જોતા અહીં ઠેર ખાડા ખોદી રાખ્યા છે પણ ક્યાંક પાઇપ નાખેલ છે તો ક્યાંક પાઇપ દબાવ્યા વગર ખાડા પુરી દેવાયા હોવાની વાત ગામ લોકો કહી રહ્યા છે.કાળ ઝાળ ઉનાળાની ગરમીમાં નદી નાળા અને કુંવાઓ અને હેન્ડ પમ્પ સુકાઈ ચુક્યા છે ત્યારે આવા સમયે નલ સે જલ યોજના આશીર્વાદ રૂપ થઇ શકે એમ હતી પણ કટકી બાજ કોન્ટ્રાકટરોના લીધે અને સ્થાનિક નેતાઓની કમિશન ખોરીના કારણે ગામડામાં નલ સે જલનું પાણી પહોંચે એવી સ્થિતિ રહી નથી.આ મામલે મોરવા હડફના ટીડીઓ બધું બરાબર હોવાની વાત કરે છે અને કામમાં કોઈ ફરિયાદની ઓફિસ સુધી આવી નથી એમ કહી રહ્યા છે.ત્યારે જો વાડ જ ચીભડાં ગળે તો ફરિયાદ કોને કરવી એવો ઘાટ થયો છે અને મોરવા હડફના અંતરીયાળ ગામોમાં આ યોજના સુચારુ રૂપ લાગુ થયું એ માટે કોઈ મોટી તપાસ ઉચ્ચ સ્તરે થાય એ જરૂરી થઇ ગયું છે.