અમદાવાદ, તા. 22 ફેબ્રુઆરી 2022 મંગળવાર : નવરંગપુરામાં પત્નીને ત્રાસ આપતાં પતિ સામે ફરિયાદ નોંધાઈ છે.પત્ની હયાત છતાં બીજી સ્ત્રી સાથે આડા સંબંધને લઇને છુટાછેડા માટે પતિ દબાણ કરતો હતો.
નવરંગપુરામાં રહેતા ખુશી ગજ્જરના લગ્ન 2012માં નિર્મલ પારૂલકુમાર ગજ્જર સાથે થયા હતા.તેમના લગ્નને 9 વર્ષ થયા છે. તેમને આઠ વર્ષની પુત્રી અને 2 વર્ષનો પુત્ર છે.ખુશી ગજ્જરના જણાવ્યાનુસાર આજથી બે વર્ષ પહેલા માર્ચ- 2020માં મારા પતિ અવારનવાર ફોનમાં વ્યસ્ત રહેતા હતા તેમજ તેમની ફેક્ટરી વટવામાં હોવાથી ત્યાં મિટીંગના બહાને ઘરે મોડા આવતા હતા જેથી મને તેમની પર શંકા જતા મે તેમના ફોનમાં તપાસ કરી અને જાણવા મળ્યુ કે મારા પતિ પરિણિત હોવા છતાં અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ રાખે છે.જેથી મે તેમને આ પ્રેમ સંબંધ પૂરો કરવા સમજાવ્યા હતા અને તેમણે મને આ સંબંધ પૂરો થઈ ગયો હોવાનુ જણાવ્યુ હતુ.
પરંતુ બે મહિના પહેલા મારા પતિ ફરીથી ફોનમાં વ્યસ્ત રહેવા લાગ્યા અને મિટીંગના બહાને ફેક્ટરીમાંથી મોડા આવતા હોવાથી મને પૂછપરછ દરમિયાન જાણવા મળ્યુ કે તેઓ પ્રેમ સંબંધમાં છે.મે તેમને આ સંબંધ પૂર્ણ કરવાનુ સમજાવ્યુ તો તેમણે મને છુટાછેડા આપવા માટે દબાણ કર્યુ અને ઈમોશનલ બ્લેકમેલ કરી માનસિક ત્રાસ આપવા લાગ્યા તેમજ વારંવાર એવુ કહેતા હતા કે જો તુ મને આ સંબંધ પૂરા કરવાનુ કહીશ તો હુ મારી પ્રેમિકા સાથે દુબઈ સ્થાયી થઈ જઈશ.
મારા પતિના અન્ય સ્ત્રી સાથેના આડા સંબંધ વિશે મે મારા સાસુ સસરાને જાણ કરી,તો તેમણે જણાવ્યુ કે મારો દિકરો નિર્મલ 19 ફેબ્રુઆરીએ ઘરે આવીને પાસપોર્ટ તેમજ જરૂરી સામાન લઈને જતો રહ્યો છે અને અત્યારે ક્યા રહે છે તેની જાણ નથી.