– વંકાલ ગામના તળાવ સહિત ખેડૂતોના ખેતરની હદ માપણી માટેની અરજીને સમય વીતવા છતાં પણ માપણી ન થતા અરજદારોમાં ભારે રોષ
ચીખલી : પ્રાપ્ત માહિતી અનુસાર ખેડૂતોએ પોતાની ખેતરની હદ માપણી માટે ઓન લાઇન અરજી કરી ઇપેમેન્ટ દ્વારા જરૂરી ફી સરકારી તિજોરીમાં ભરવાની હોય છે અને ફી ભરાયા બાદ માપણીની તારીખ અને સર્વેયરના નામ સાથેની વિગત અરજદારોને તેના ઇમેઇલ આઇડી કે ટેક્સ મેસેજ દ્વારા જાણ કરાતી હોય છે પરંતુ ચીખલી તાલુકામાં જમીનની હદ માપણી માટેની અનેક અરજીઓ લાંબા સમયથી પેન્ડિંગ હોવાનું જાણવા મળેલ છે.વંકાલ ગ્રામ પંચાયત દ્વારા ખાતા નંબર ૯૨૦ વાળી સરકારી તળાવની તત્કાલ હદ માપણી માટે ગત તા.૨૮-ડિસેમ્બર ના રોજ ઇપેમેન્ટ થી ૮,૮૦૦/- રૂપિયાની રકમની ભરપાઈ કરવામાં આવી હતી.પરંતુ આજદિન સુધી માપણી માટેની તારીખ જ ફળવાઈ નથી.ધેજ ગામના ભરડા-નાયકીવાડના ખેડૂત ખાતેદાર દ્વારા તેમની ચરી ગામમા આવેલ ખેતરની માપણી માટે ઓનલાઇન અરજી અને ઇ-પેમેન્ટ થી રકમ ભર્યા બાદ માપણી માટે ૨૭/૧૨/૨૦૨૧ ની તારીખ ઈ-મેઇલ મારફતે આપવામાં આવી હતી.ડીઆઈએલઆર કચેરીમાંથી કોઈ ફરક્યું જ ન હતું.અરજદારે જાણ કર્યા બાદ પણ માપણી માટેની નવી તારીખ આપવામાં આવી નથી.
અરજદારોએ માપણી માટેની અરજી કરી નાણાં ભરી દીધા બાદ પણ માપણી થતી નથી.અને તાલુકામાં અનેક માપણીની અરજીઓ પેન્ડિંગ હોવાનું પણ જાણવા મળેલ છે.નવસારીની ડીઆઈએલઆર કચેરીનો અંધેર વહીવટ બહાર આવવા પામ્યો છે.કચેરીના મુખ્ય વડા જમીન નિરીક્ષકની જગ્યા ખાલી થયા બાદ જાન્યુઆરી માસના ૧૨-દિવસ સુધી તો કોઈને ચાર્જ જ સોપાયો ન હોવાની માહિતી સાંપડી હતી.ત્યારે આટલા દિવસો કચેરીનો વહીવટ રામભરોસે જ હતો.અને કચેરીની હાલત ધણી વિનાના ઢોર જેવી થવા પામી હતી.ડીઆઈએલઆર કચેરીના હેડ કવાટર આસિસ્ટન્ટ સુમનભાઇના જણાવ્યાનુસાર ૧ થી ૧૨ તારીખ દરમ્યાન કોઈ પાસે ચાર્જ ન હતો.હવે સુરતના અનંત પટેલને ચાર્જ સોંપવામાં આવ્યો છે.તેમની પાસે અન્ય બે ત્રણ ચાર્જ છે.ત્યારે સાહેબના લોગીનથી કામગીરી કરવાની હોય સાહેબ આવ્યા બાદ માપણી માટે અરજદારોને તારીખ આપવામાં આવશે.