નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા સંસદભવનની ઇમારત પર અશોક સ્તંભનું અનાવરણ કર્યું છે.દેશના રાષ્ટ્રીય પ્રતીકની આ પ્રતિમા ૬.૫ મીટર ઊંચી અને ૯૫૦૦ કિલો વજન ધરાવે છે.ચાલુ વર્ષે સંસદની નવી ઇમારત ખુલ્લી મુકાવાની છે એ પહેલાં આ મહત્વનું સીમાચિહ્ન છે.સત્તાવાળાના જણાવ્યાં અનુસાર સંસદનું શિયાળુ સત્ર નવા ભવનમાં યોજાશે.અશોક સ્તંભની પ્રતિમાને ટેકો આપવા સ્ટીલની લગભગ 6500 કિલોનું માળખું પણ બનાવાયું છે.
નવા સંસદ ભવનની છત પર રાષ્ટ્રીય પ્રતીકના ડિઝાઇન અને કાસ્ટિંગની પ્રક્રિયા આઠ તબક્કામાંથી પસાર થઈ હતી.જેમાં માટીના મોડલ અને કમ્પ્યુટર ગ્રાફિક્સ તૈયાર કરાયા પછી આખરે કાંસાની પ્રતીમા તૈયાર થઈ હતી.વડાપ્રધાન સાથે લોકસભા સ્પીકર ઓમ બિરલા અને કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી પણ હાજર હતા.મોદીએ આ પ્રસંગે નવી સંસદના કામમાં લાગેલા કાર્યકરો સાથે પણ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે,“સંસદની નવી ઇમારતનું નિર્માણ કરનારા શ્રમજીવીઓ સાથે મારે સુંદર સંવાદ થયો હતો.દેશ તેમના યોગદાનને હંમેશા યાદ રાખશે.”વડાપ્રધાને શ્રમજીવીઓને પૂછ્યું હતું કે,“તમે શું માનો છો કે,તમે કોઈ ઇમારત બનાવી રહ્યા છો કે ઇતિહાસ?’ ત્યારે બધાએ એક સાથે જવાબ આપ્યો હતો કે,ઇતિહાસ.