અમદાવાદ : કોરોના મહામારીમાં ખાનગી સ્કૂલોની ફીમાં રાહત આપવાની છેલ્લા ઘણા સમયથી વાલીઓમાં માગ ઉઠી હતી.આ વર્ષે ૨૫ના બદલે ફીમાં ૫૦ ટકા રાહત આપવી જોઈએ તેવી માગ ઊઠી હતી.વાલીઓની માગ વચ્ચે આજે શુક્રવારે રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ મીડિયાના માધ્યમથી જાહેરાત કરી છે કે, નવો નિર્ણય ન થાય ત્યાં સુધી ફીમાં ૨૫ ટકાની રાહત યથાવત રહેશે.
બીજી તરફ વાલીઓને પૂછતા જાણવા મળ્યું છે કે,અમદાવાદ શહેરની મોટાભાગની ખાનગી સ્કૂલોએ તો મસમોટા વધારા સાથે પ્રથમ ક્વાર્ટરની ફી વસૂલી લીધી છે,તો એ ફીનું શુ ? સંચાલકો મજરે આપશે કે કેમ ? શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાંએ જણાવ્યુ હતુ કે, ફી મુદ્દે વિવાદ ન થાય તેના માટે સૌથી વધુ જવાબદારી શાળા સંચાલકોને છે. આ પરિસ્થિતિમાં કોઈ વાલી એક સાથે ફી ભરી શકે ના તો તેમને સંચાલકે શાળામાં બોલાવી તેમને હપતા કરી આપવા જોઈએ.નવો નિર્ણય ન થાય ત્યાં સુધી અત્યારે આપણે એ ૨૫ ટકા રાહત ચાલુ રાખીએ છીએ. ઉલ્લેખનીય છે કે,ગત આખું વર્ષ કોરોનાના કારણે રાજ્યની તમામ સ્કૂલો બંધ રહી છે.જેથી બંધ સ્કૂલોમાં અનેક ખર્ચાઓ ઘટી ગયાં છે.બીજી તરફ વાલીઓના ધંધા રોજગાર પડી ભાગ્યાં છે. આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખી ચાલુ વર્ષે સ્કૂલ ફીમાં ૫૦ ટકાની રાહત મળવી જોઈએ તેવી માગ ઊઠી હતી.વાલીઓ એમ પણ જણાવી રહ્યાં છે કે, સીબીએસઈ બોર્ડની સ્કૂલોમાં નવુ શૈણિકસત્ર એપ્રિલ માસથી શરૂ થયું છે.જેથી સરકારે ફી રાહતને લઈ શા માટે આટલો વિલંબ કર્યો ? સ્કૂલો ફી વસૂલી શરૂ કરે એ પહેલા રાહતની જાહેરાત કરવી જોઈતી હતી. દેખીતી રીતેજ ખાનગી સ્કૂલ સંચાલકોનાં ખોળે બેઠેલ સરકારને કોરોનાનાં કાળમાં હાલાકી ભોગવતાં વાલીઓની કોઈ ચિંતા નથી તે સ્પષ્ટ થયું હોવાની પણ ફરિયાદ ઊઠી હતી.