ન્યુ દિલ્હી,તા.૨૩
દિલ્હીમાં નાગરિકતા સંશોધન કાયદા (સીએએ)ના વિરોધમાં આંદોલન અને વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર બની રહ્યું છે. રવિવારે દિલ્હીના જાફરાબાદ મેટ્રો સ્ટેશન બહાર અંદાજે ૫૦૦થી વધુ લોકોના ટોળાએ સીએએનો વિરોધ કર્યો હતો. વિરોધકર્તાઓમાં મોટાભાગે મહિલાઓનો સમાવેશ થાય છે. નોંધપાત્ર સંખ્યામાં ટોળા એકત્ર થતા મેટ્રો સત્તાધીશોએ જાફરાબાદ મેટ્રો સ્ટેશનના પ્રવેશ અને બહાર નિકળવાના દ્વાર બંધ કરવાની ફરજ પડી હતી.
શનિવાર રાતથી જ વિરોધ પ્રદર્શને વેગ પકડયું હતું અને સીલમપુરથી મૌજપુર તેમજ યમુનાવિહારને જોડતા માર્ગ પર લોકો વિરોધ કરવા ઉતરી ગયા હતા. મહિલાઓ પોતાના હાથમાં ત્રિરંગો રાખીને ‘આઝાદી’ના સૂત્રો પોકારી રહી છે. વિરોધ કરી રહેલી મહિલાઓએ જણાવ્યું છે કે જ્યાં સુધી કેન્દ્ર સીએએ પરત નહીં ખેંચે ત્યાં સુધી તેઓ અહીંથી હટશે નહીં. સીએે વિરોધ ઉગ્ર બનતા સુરક્ષા કાફલો ખડકી દેવાયો છે. મહિલા પોલીસ અધિકારીઓને પણ આ વિસ્તારમાં ઉતારવામાં આવ્યા છે. જાફરાબાદ મેટ્રો સ્ટેશનના પ્રવેશ અને નિકાસ દ્વારા બંધ કરી દેવાની ફરજ પડી છે. આ મેટ્રો સ્ટેશન પર ટ્રેન ઉભી રાખવામાં નથી આવી રહી તેમ મેટ્રોલ રેલ કોર્પોરેશને જણાવ્યું હતું.
બુશરા નામની એક મહિલાએ જણાવ્યું કે જ્યાં સુધી સીએએ પરત ખેંચાશે નહીં ત્યાં સુધી વિરોધ યાથવાત રહેશે. સામાજીક કાર્યકર ફહીમ બૈગે નિવેદનમાં જણાવ્યું કે, કેન્દ્ર આ મુદ્દે જે રીતે વર્તી રહી છે તેનાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. દિલ્હીના શાહીનબાગમાં છેલ્લા બે મહિનાથી સીએએ વિરોધી પ્રદર્શન ચાલી રહ્યું છે. સુપ્રીમ કોર્ટે આ પ્રદર્શનકારીઓની વાત સાંભળવા માટે મધ્યસ્થીની નિમણૂક પણ કરી છે.
નાગરિકતા કાયદા વિરૂદ્ધ જાફરાબાદમાં શાહીન બાગ જેવી પરિસ્થિતિ, મેટ્રો સ્ટેશન બંધ
Leave a Comment