નાગરિકોને હાશકારો : મ્યુનિ. ટેક્સ ખાતામાં અરજીના નિકાલ માટે જાતજાતના પુરાવા માંગવામાં આવશે નહીં

HM News
2 Min Read

અમદાવાદ : મ્યુનિ.ટેકસ ખાતામાં નામ ટ્રાન્સફર,આકારણી સામે વાંધો વગેરે કામ માટે કરવી પડતી અરજીની સાથે નાગરિકો પાસે જાતજાતનાં પુરાવા માંગવાનું બંધ કરવાનો અને જરૂરી એવા ૩-૪ ડોક્યુમેન્ટથી કામ ચલાવવાનો નિર્ણય લેવાતાં નાગરિકોને હેરાનગતિમાંથી છૂટકારો મળશે તેમ રેવન્યુ કમિટી ચેરમેને જણાવ્યું હતું.મ્યુનિ.રેવન્યુ કમિટીની બેઠક બાદ ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે,શહેરનાં વિવિધ વિસ્તારોમાં નાગરિકો-વેપારીઓને મ્યુનિ.ટેક્સ ખાતામાં વિવિધ કારણોસર અરજી કરવી પડતી હોય છે.જેમાં મિલકતનાં નામ ટ્રાન્સફર માટે અરજી,મિલકત ખાલી-બંધની અરજી,આકારણી વધુ હોવાની વાંધાઅરજી,મિલકત કબજેદારનાં નામ ફેરફારની અરજી વગેરે પ્રકારની ૨૦ જેટલી અરજી સાથે જાતજાતનાં દસ્તાવેજી ડોક્યુમેન્ટની માંગણી કરવામાં આવતી હતી.

જેમાં અમુક દસ્તાવેજથી કામ ચાલી જાય તેમ હોવા છતાં મ્યુનિ.ટેક્સ ખાતાનાં કર્મચારી જક્કી વલણ અપનાવીને બધા પુરાવા જોઇશે જ તેમ કહી નાગરિકોને ધક્કા ખવડાવતાં હોવાની વ્યાપક ફરિયાદો તેમનાં સુધી પહોંચવા પામી હતી તેવી માહિતી આપતાં રેવન્યુ કમિટી ચેરમેને જણાવ્યું હતું કે,તેમણે વિવિધ અરજીઓનાં નિકાલ માટે કયા પ્રકારનાં પુરાવા ચાલી શકે તેની તપાસ કરી અને અધિકારીઓ સાથે વાતચીત કરીને નાગરિકોને થતી બિનજરૂરી હેરાનગતિ ટાળવા માટે ઓછામાં ઓછા પુરાવાથી કામ ચલાવી લેવા અને અરજીઓનો નિકાલ કરવાનો નિર્ણય લીધો હતો.તેમણે કહ્યું કે,અમુક અરજીઓનાં નિકાલ માટે ટેક્સ ખાતા દ્વારા જે પુરાવા માંગવામાં આવે તે કોઇ કારણસર નાગરિક રજૂ ના કરી શકે અને બીજા પુરાવા ચાલે તેમ હોય તેમ છતાં નાગરિકની અરજીનો નિકાલ ન થાય તે કઇ રીતે ચાલી શકે.ટેક્સ ખાતામાં વિવિધ અરજી કરનારા નાગરિકો તમામ પુરાવા રજૂ કરી શકે નહિ એટલે ટેક્સ ખાતાનાં કર્મચારી કોઇનીય મંજૂરી વગર ફાઇલ દફતરે કરી દેતાં હોવાની માહિતી મળ્યા બાદ નાગરિકો જ્યારે પુરાવા રજૂ કરે ત્યારે ફાઇલ ફરી ખોલવાની સૂચના આપી હતી.

તેમ છતાં આ તંત્રમાં સુધારો કરવા માટે તેમણે વાંધાઅરજીઓની ફાઇલો બારોબાર દફતરે કરતાં પહેલાં જે તે કર્મચારીએ તેનાં ઉપરી અધિકારીની મંજૂરી લેવી પડશે તેમ ઠરાવ્યું છે.તેનાથી ટેક્સ ખાતાનાં કર્મચારીઓની જવાબદેહી વધશે અને નાગરિકોની હેરાનગતિ ઘટશે.મ્યુનિ.ટેક્સ ખાતાની આવકની વિગત આપતાં તેમણે કહ્યું કે,ચાલુ નાણાંકીય વર્ષમાં ફક્ત બે મહિનાનાં સમયગાળામાં ૫૦૦ કરોડની વિક્રમજનક આવક નોંધાઇ છે.તેમાં પ્રોપર્ટી ટેક્સ પેટે ૪૩૫.૮૪ કરોડ,પ્રોફેશન ટેક્સ પેટે ૩૩.૧૪ કરોડ અને વ્હિકલ ટેક્સ પેટે ૨૬.૯૫ કરોડની આવકનો સમાવેશ થાય છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *