– ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.ઓમિક્રોને પણ પગપેસારો શરૂ કરી દીધો છે ત્યારે ભારત સરકારે પણ ગુજરાતને સાવધાન માટે તાકીદ કરી દીધી છે,આવી સ્થિતિમાં કોરોનાના નિયંત્રણના ભાગરૂપે,રાત્રિ કરફ્યૂની અવધિમાં વધારો સહિતના અન્ય નિયંત્રણોમાં ફેરફાર અપેક્ષિત મનાતા હતા.તે મુજબ જ રાજ્ય સરકારે કોરોનાની સ્થિતિની સમીક્ષા કરીને હવેથી રાતના ૧ વાગ્યાથી સવારના ૫ વાગ્યા સુધીના રાત્રિ કરફ્યૂની અવધિમાં ફેરફાર જાહેર કર્યો છે.તે પ્રમાણે ૨૫મી,ડિસેમ્બરની રાતથી ૩૧મી,ડિસેમ્બરની રાત સુધી રાતના ૧૧ વાગ્યાથી સવારના ૫ વાગ્યા સુધી રાત્રિ કરફ્યૂ અમલી રહેશે.આમ નાતાલ અને નવા વર્ષની ઉજવણી પર બ્રેક લાગી ગઈ છે.
સરકારે જાહેર કર્યું છે કે,અમદાવાદ,વડોદરા,સુરત,રાજકોટ,જામનગર,ભાવનગર,જૂનાગઢ અને ગાંધીનગર જેવા ૮ મહાનગરોમાં આ રાત્રિ કરફ્યૂ અમલમાં રહેશે. આ ઉપરાંત તમામ દુકાનો,રેસ્ટોરન્ટસ,વાણિજ્યિક સંસ્થાઓ,લારી-ગલ્લાઓ,શોપીંગ સેન્ટરો,હેર-કટીંગ સુનો,પાર્લરો,ગુજરીબજાર,હાટ,મારકેટ યાર્ડ્સ સહિતની તમામ પ્રકારના આર્થિક ગતિવિધિઓ જે અત્યાર સુધી રાતના ૧૨ વાગ્યા સુધી કરી શકાતી હતી.તે હવેથી રાતના ૧૧ વાગ્યા સુધી કરી શકાશે અર્થાત રાતના ૧૧ વાગ્યાથી આ તમામ ગતિવિધિઓ બંધ કરી દેવાશે.નોંધનીય છે કે,રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે ત્યારે ભારત સરકાર તરફથી પણ દરેક રાજ્યો માટે નવી ગાઈડલાઈન જાહેર થઈ છે.તે મુજબ આગામી દિવસોમાં આ ગાઈડલાઈનનો કડકાઈથી અમલ શરૂ કરાશે.જેમાં હજુ આ રાત્રિ કરફ્યૂની અવધિથી લઈ અન્ય નિયંત્રણ,વધુમાં વધુ લોકોના ભેગા થવાની સંખ્યા સહિતની ગાઈડલાઈનમાં ફેરફાર અપેક્ષિત મનાય છે.