– ૫૦ ચો.મીથી લઈને ૩૦૦ચો.મીથી વધુ કદના બાંધકામો નિયત દર લઈ નિયમિત કરાશે
– ગુજરાતમાં હાલમાં ૨૨૦ કરતાં પણ વધુ ઔદ્યોગિક વસાહતો કાર્યરત છે
ગાંધીનગર, 12 જાન્યુઆરી 2023 ગુરૂવાર : સૂક્ષ્મ,નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા સરકારે જી.આઈ.ડી.સીમાં અનઅધિકૃત બાંધકામોને નિયમિત કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.જેમાં ૫૦ ચો.મીથી લઈને ૩૦૦ચો.મીથી વધુ કદના બાંધકામો નિયત દર લઈ નિયમિત કરાશે એવી જાહેરાત ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે કરી છે.
અનઅધિકૃત બાંધકામોને નિયમિત કરવાનો નિર્ણય કર્યો
આ નિર્ણય અંગે તેઓએ જણાવ્યું કે ઔદ્યોગિક વિકાસના હેતુથી જી.આઇ.ડી.સી.ની રચના કરવામાં આવી હતી,પરંતુ ઝડપી ઔદ્યોગિક વિકાસના કારણે જી.આઇ.ડી.સી વસાહતમાં અનઅધિકૃત બાંધકામ વધી ગયા છે.આ પ્રકારના બાંધકામ દૂર કરવાથી આર્થિક પ્રવૃત્તિ,રોજગારી અને સંલગ્ન રોકાણ ઉપર નકારાત્મક અસર થવા પામે છે.આ બાબતો ધ્યાને લઇ જી.આઇ.ડી.સી દ્વારા આવા અનઅધિકૃત બાંધકામોને નિયમિત કરવાનો નિર્ણય કર્યો છે,જે આગામી ચાર મહિના સુધી અમલમાં રહેશે.જી.આઇ.ડી.સીએ સૂક્ષ્મ,નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો સ્થાપવા માટે ઉદ્યોગ સાહસિકોને પુષ્કળ તકો આપી મહત્વની ભૂમિકા અદા કરી છે.
મકાનની વધારાની ઉંચાઇ નિયમિત કરવાની જોગવાઇ નથી
ગુજરાતમાં હાલમાં ૨૨૦ કરતાં પણ વધુ ઔદ્યોગિક વસાહતો કાર્યરત છે.જેમાં ૭૦,૦૦૦થી વધુ ઔદ્યોગિક એકમો કાર્યરત છે,આ તમામને આ નીતિનો લાભ મળશે.આ નવી નીતિના અમલથી જીઆઈડીસીમાં ૫૦ ચો.મીથી લઈને ૩૦૦ચો.મી થી વધુ કદના બાંધકામો નિયત દર લઈ નિયમીત કરાશે.રહેણાંક તથા વાણિજ્ય વપરાશ માટે કોમન પ્લોટમાં જમીન વપરાશના ૫૦% સુધીનું બાંધકામ નિયમિત કરવામાં આવશે.તેમજ વપરાશમાં ફેરફાર તથા મકાનની વધારાની ઉંચાઇ નિયમિત કરવાની જોગવાઇ નથી.
50 ચોમી સુધીના બાંધકામ માટે 3000 ની ફી
કુલ બાંધકામ ૫૦ ચો.મી. સુધીનું બાંધકામ નિયત કરવા માટે રૂા.૩૦૦૦ની ફી ભરવાની રહેશે.એ જ રીતે કુલ બાંધકામ ૫૦ ચો.મી.થી વધુ અને ૧૦૦ ચો.મી. સુધી રૂા. ૩૦૦૦ વત્તા વધારાના રૂા.૩૦૦૦,કુલ બાંધકામ ૧૦૦ ચો.મી. થી વધુ અને ૨૦૦ ચો.મી સુધી રૂા.૬૦૦૦ વત્તા વધારાના રૂા.૬૦૦૦,કુલ બાંધકામ ૨૦૦ ચો.મી. થી વધુ અને ૩૦૦ ચો.મી સુધી રૂા. ૧૨૦૦૦ વત્તા વધારાના રૂા.૬૦૦૦,તેમજ કુલ બાંધકામ ૩૦૦ ચો.મી. થી વધુ માટે રૂા.૧૮૦૦૦ વત્તા વધારાના રૂા.૧૫૦ પ્રતિ ચો.મી ૩૦૦ ચો.મી.થી વધારાના વિસ્તાર માટે ભરવાના રહેશે.