– વેરાથી લઈને પાલિકાના વિવિધ ચાર્જના દરમાં પણ ઘટાડો કરવાની માગ
સુરત : સુરત મહાનગરપાલિકા દ્વારા જે વેરા વસૂલાતમાં આવે છે, તેમાં 50 ટકા જેટલી રાહત આપવામાં આવે તેવી માગ આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતા દ્વારા કરવામાં આવી છે.કોરોના સંક્રમણને કારણે સમગ્ર વર્ષભર લોકોના ધંધા રોજગાર ઉપર મોટી અસર થઇ છે.લોકોના આવકના સ્ત્રોત ઉપર અસર થતા દરેક પરિવાર આર્થિક ભીંસ અનુભવી રહ્યું છે.નાના-મોટા ધંધા સદંતર મૃતઃપ્રાય સ્થિતિમાં ધકેલાઈ ગયા છે ત્યારે આપના કાઉન્સિલકર અને વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરી દ્વારા રહેણાંક વિસ્તારમાં 100 ચોરસ મીટર સુધીની મિલકતમાં 50 ટકા જેટલી વેરામાં રાહત આપવામાં આવે તેવી દરખાસ્ત પાલિકામાં કરી છે.આગામી બજેટમાં તેઓ આ દરખાસ્ત ઉપર ચર્ચા કરશે.
આપ દ્વારા અલગ-અલગ વેરામાં સુરતીઓને રાહત આપવામાં આવે એ પ્રકારની માંગ થઈ રહી છે.જેમાં વિશેષ કરીને સોલિડ વેસ્ટ,સ્ટ્રીટ લાઈટ ચાર્જ ફાયર ચાર્જ અને એન્વાયરમેન્ટ ઇમ્પ્રૂવમેન્ટ ચાર્જમાં 50 ટકા સુધીની રાહત આપવા માટે લડત શરૂ કરી છે.ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા લોકોને 15 ચોરસ મીટરથી 25 ચોરસ મીટરના રહેણાંક મિલકતોમાં 25 ટકા વેરામાં રાહત આપવાની વાત કરી હતી.જેને બદલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલ પાટીલે તેમાં ફેરફાર કરીને અલગ માંગણી કરી હતી.
લોકોને રાહત આપવા દરખાસ્ત
સી.આર.પાટીલએ રહેણાંક મિલકતોમાં 25 ટકા નહીં પરંતુ 50 ટકા સુધી અને બિન રહેણાંક મિલ્કતઓમાં 25 ટકા રાહત આપવાની ભલામણ કરી હતી.આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતાએ વાત કરી કે,સુરત કોર્પોરેશનમાં તાયફા કરવા પાછળ ખોટો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.જેના ઉપર નિયંત્રણ લાવીને લોકોને વિવિધ વેરા અને યુઝર્સ ચાર્જમાં ઘટાડો કરીને રાહત આપવી જોઈએ.જેથી કરીને કોરોનાકાળમાં આવી પડેલા આર્થિક સંકટમાંથી લોકોને રાહત મળી શકે.