ગુજરાતમાં છેલ્લા સાત માસના કોરોના સંક્રમણ અને લોકડાઉનમાં પ્રથમ પિડા-હાલાકી-આર્થિક બહાલી અને પારાવાર સામાજીક યાતના છતાં જે રીતે રાજયમાં ભાજપ-કોંગ્રેસના રાજનેતાઓએ તેમના ચૂંટણી સહિતના લાભ માટે છેલ્લા દોઢ માસથી રાજકીય યાત્રાઓ શરુ કરીને રેલીઓ,સ્વાગતયાત્રા- કાર્યકર્તા- સંમેલન વિ.ના કારણે કોરોના સંક્રમણને વકરવા માટેનું નિમંત્રણ આપ્યું હતું તેના પર ગુજરાત હાઈકોર્ટ રાજકીય નેતાઓ પર આકરી પસ્તાળ પાડી હતી.
રાજયમાં કોરોનાની સ્થિતિમાં એક તરફ રાજય સરકાર સંક્રમણ- મૃત્યુના આંકડાના ખેલ કરી રહી છે તેના પર આકરો આક્રોશ વ્યક્ત કરવાની સાથે નેતાઓની ‘કઈ ન થાય’ તેવા વલણથી આકરી ટીકા કરી હતી.હાઈકોર્ટે નોંધ્યુ હતું કે વહીવટીતંત્રનો કોરોનામાં ઉંઘતું ઝડપાયું જ છે પણ રાજનેતાઓ તેમની જવાબદારી ભુલ્યા છે.
રાજયમાં ખાસ કરીને ભાજપના નવા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે તેમની વરણી બાદ જે રીતે કોરોના વચ્ચે પણ રાજકીય યાત્રાઓ શરૂ કરી- સ્વાગત રેલીઓ યોજવા માટે ફરજ પાડી- કાર્યકર્તાઓના મેળાવડા કર્યા અને માસ્ક- સોશ્યલ ડિસ્ટન્સના ખુલ્લેઆમ ભંગ કર્યા તેની સામે ગુજરાતમાં જે જબરો આક્રોશ છે તેનો પડઘો હાઈકોર્ટમાં પડયો હતો અને નેતાઓએ જાહેરમાં ખોટા દ્રષ્ટાંત બેસાડવા હતા તેની આકરી ટીકા કરી હતી.હાઈકોર્ટે નોંધ્યું કે કોરોનાએ શક્તિશાળી અને શક્તિ વગરના લોકો વચ્ચેનો ભેદ- ખુલ્લો કરી દીધો છે. આ ગરીબ વિ. રાજકીય નેતાઓનો ‘સીન’ બની ગયા છે.
અમદાવાદમાં વહીવટીતંત્રએ 1124 નાની ચાની દુકાનો સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ કરવા બદલ ‘સીલ’ કરવામાં આવી હતી પણ રાજકીય નેતાઓને કોરોના પ્રોટોકોલ ભંગની છૂટ અપાઈ હતી. હાઈકોર્ટે જણાવ્યું કે રાજય સરકારે જે કોરોના પ્રોટોકોલ જાહેર કર્યા છે અને જે નિયમો અમલમાં મુકયા છે તેનું ચુસ્ત રીતે પાલન થવું જોઈએ.આ સીનીયર-જુનીયર તમામ રાજકીય નેતાઓને લાગુ પડે છે.રાજકીય નેતાઓ નેતૃત્વ કરે છે અને તેઓ જ જો નિયમનો ભંગ કરીને દ્રષ્ટાંત બેસાડશે તો લોકો નિયમોનું પાલન કરે તેવી કઈ રીતે અપેક્ષા રાખી શકાય.
હાલમાં જ સી.આર.પાટીલે જે રીતે સૌરાષ્ટ્ર-દક્ષિણ અને ઉતર ગુજરાતમાં રેલીઓ યોજી અને છતાં કોઈ નિયમ ભંગ થતો નથી. પોલીસને પણ મુક સાક્ષી બની રહેવું તેના પર હાઈકોર્ટનો આડકતરો ઈશારો હતો.
ફકત ભાજપ જ નહી કોંગેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ તથા પ્રદેશ પ્રમુખ અમીત ચાવડાએ પાટીલ અને ભાજપની ટીકા કરવાની સાથોસાથ તેઓએ પણ પક્ષના કાર્યક્રમો યોજાયા હતા અને ટોળાશાહી કરી હતી.હાર્દીકે રાજકોટ સહિતના સ્થળોએ અમીત ચાવડાએ વડસાલ સહિતની રેલીઓમાં પણ પક્ષના કાર્યકર્તાઓને એકત્ર કર્યા તેનો આડકતરો ઈશારો પણ હાઈકોર્ટે કર્યો હતો.


