– બજારો બંધ રાખી મહિલા અને નગરજનોએ રેલી કાઢી
– આગામી દિવસોમાં રસ્તા રોકો સાથે બજારો બંધનું એલાન
– નેત્રંગ ગામમાં પ્રાથમિક સુવિધાઓને લઇ ગ્રામજનોએ ગ્રામ પંચાયતનો ઘેરાવ્યો કરી હલ્લાબોલ કર્યો
નેત્રંગને તાલુકો બનાવ્યા બાદ ગ્રામ અને તાલુકા પંચાયત હોવા છતાં છેલ્લા 14 વર્ષથી નગરમાં રસ્તા,ગટર અને સફાઈમાં વિકાસ નહિ જોવા મળતા વિફરેલા વેપારીઓ,મહિલાઓ અને નગરજનોએ રેલી કાઢી ગ્રામ પંચાયત કચેરી ગજવી હતી.આગામી 15 દિવસમાં નગરના મુખ્ય માર્ગ,ગટર અને સફાઈની કામગીરી હાથ ન ધરાઈ તો પંચાયતોને તાળા સાથે બજાર અને રસ્તા બંધ કરવાની ચીમકી ઉચ્ચરાઈ છે.નેત્રંગ ગ્રામ પંચાયત દ્વારા જવાહર બજારથી જલારામ મંદિર સુધી આર.સી.સી.માર્ગ સહિતની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ નહિ કરાવતા આજરોજ વિફરેલા ગ્રામજનોએ ગ્રામ પંચાયત ખાતે ઘેરાવો કરી હલ્લાબોલ કર્યો હતો.
ભરૂચ જિલ્લાના નેત્રંગને અલગ તાલુકો જાહેર કરવામાં આવ્યો છે,પરંતુ નેત્રંગ ટાઉન વિકાસથી વંચિત હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.સ્થાનિકોએ જવાહર બજારથી જલારામ મંદિર સુધી આર.સી.સી.માર્ગનું નિર્માણ અને સાફ-સફાઈ સહીત ગટર વ્યવસ્થા ઉપલબ્ધ કરવા માંગ કરી છે.છેલ્લા 6 મહિનાથી અનેક રજૂઆત કરવામાં આવી છે પણ તેની વહીવટી તંત્ર ઉપર કોઈપણ જાતની અસર થતી નથી.છેલ્લા 14 વર્ષથી રસ્તા,ગટર અને સફાઈને લઈ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહેલા નેત્રંગના નગરજનોની ધીરજ ખૂટી હતી.આજરોજ વિફરેલા સ્થાનિકોએ ગ્રામ પંચાયત ખાતે ઘેરાવો કરી હલ્લાબોલ કર્યો હતો.
સરપંચને રજૂઆત કરી વહેલી તકે વિકાસના કામોની કામગીરી શરુ નહિ કરવામાં આવે તો બજારો બંધ કરી રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.કોંગી આગેવાન શેરખાન પઠાણએ પણ ગ્રામજનો સાથે પંચાયત કચેરીએ પહોંચી જો ટૂંક સમયમાં કામગીરી નહિ કરવામાં આવે તો ગ્રામ પંચાયત સાથે તાલુકા પંચાયતની કચેરીને તાળા બાંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે.બીજી તરફ સરપંચે સાંસદની 50 લાખની ગ્રાન્ટ અને પંચાયતની 28 લાખની ગ્રાન્ટની વહીવટી મંજૂરી મળતા જ કામગીરી શરુ કરવાની ખાતરી આપી છે.