અમદાવાદ : સતત પડી રહેલી કાળઝાળ ગરમી બાદ છેલ્લા ત્રણ દિવસથી નૈઋત્ય દિશા તરફથી પવન ફૂંકાવાના શરૂ થયા છે જેના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયા વાતાવરણનો માહોલ સર્જાયો હતો.કેરળમાં સમય કરતા વહેલું નૈઋત્ય ચોમાસું પહોંચી ગયું છે જે ધીમી ગતિએ આગળ વધે તેવી શક્યતા છે.કોઇ વિધ્ન ન નડે તો રાજ્યમાં પણ 15 જૂનની આસપાસ વરસાદની સત્તાવાર એન્ટ્રી થવાની શક્યતાઓ સેવાઇ રહી છે.બીજી તરફ તાપમાન ઘટ્યું છે પરંતુ ભેજવાળા પવન શરૂ થતા લોકો દિવસભર પરસેવે રેબઝેબ બન્યાં હતાં.
નૈઋત્ય ચોમાસુ મધ્ય અરબી સમુદ્ર,ઉત્તર અરબ સમુદ્ર,કેરળ,કોંકણના બાકીના ભાગ,કર્ણાટકના ઉત્તર અંતરિયાળ ભાગ,દક્ષિણ કર્ણાટકના મોટા ભાગના વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે.અરબી સમુદ્રમાં વરસાદ માટે સાનુકૂળ સિસ્ટમને કારણે ચોમાસુ સમય કરતા બે દિવસ પહેલાં જ કેરળ પહોંચી ગયું છે.નૈઋત્ય પવનની અસરને કારણે જ હવામાં ભેજ વધી રહ્યો છે.જેથી અસહ્ય બફારો વર્તાઇ રહ્યો છે.હવામાન વિભાગે જણાવ્યું છે કે,નૈઋત્ય ચોમાસું આગળ વધી રહ્યું છે અને ગુજરાતમાં પણ સમય કરતા થોડું વહેલું ચોમાસું આવી પહોંચે તેવી સાનુકુળ પરિસ્થિતિ હાલ દેખાઇ રહી છે.
પરંતુ કોઇ અન્ય સિસ્ટમ સર્જાય તો વરસાદમાં વિધ્નની શક્યતાઓ રહેલી છે.સતત બીજા દિવસથી બદલાયેલા વાતાવરણને કારણે પારો પણ ગગડ્યો છે.જોકે,આજે મોટા ભાગના શહેરના મહત્તમ તાપમાન 38 ડિગ્રીની આસપાસ રહેતા બપોરના સમયે ગરમી વર્તાઇ હતી.41.5 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી હોટ શહેર બન્યું હતું.જ્યારે અમદાવાદમાં પણ પારો સમાન્ય ઘટી 41 ડિગ્રી પર રહ્યો હતો.હવામાં ભેજનું પ્રમાણ સવારે 68 અને સાંજે 38 ટકા જેટલું ઊંચુ રહેતા લોકો પરસેવે રેબઝેબ થયા હતા.આગામી દિવસોમાં ગરમીમાં રાહત મળે તેવા સંકેત હવામાન વિભાગે આપ્યા છે.


