નવી દિલ્હી, તા. ૩૧ : પંજાબના મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર અને ખાલિસ્તાની આતંકવાદી સુખ બિકરીવાલને ભારત લાવવામાં ગુપ્તચર વિભાગને જબરદસ્ત સફળતા મળી હતી.દૂબઇથી એને આજે સવારે ડિપોર્ટ કરાયો હતો.
પાકિસ્તાનની બદનામ ગુપ્તચર સંસ્થા આઇએસઆઇના ઇશારે સુખ સતત પંજાબમાં ટાર્ગેટ કીલીંગ એટલે કે હત્યાઓ કકરાવતો હતો.પંજાબના શૌર્ય ચક્ર વિજેતા ફૌજી બલવિંદર સંધુની હત્યામાં પણ સુખનો હાથ હતો.પંજાબના નાભામાં જેલ તોડવાનો જે ગુનો થયો હતો એમાં પણ સુખ સામેલ હતો.એ ભારત છોડીને નાસી ગયો હતો અને દૂબઇમાં રહેતો હતો.
ભારત સરકાર સતત એને પાછો લાવવાના પ્રયાસો કરતી હતી.સાઉદી સરકાર સાથે ભારતની પ્રત્યાર્પણ સમજૂતી થઇ છે એના અન્વયે સુખને પાછો લાવવાના પ્રયાસો ચાલુ હતી.હવે ભારતીય ગુપ્તચર વિભાગ સુખની આકરી પૂછપરછ કરશે અને પંજાબમાં હજુય સક્રિય રહેલા ખાલિસ્તાની પરિબળો વિશે નક્કર માહિતી મેળવશે.થોડા સમય પહેલાં પંજાબમાં થયેલા ટાર્ગેટ કીલીંગની તપાસ દરમિયાન ગુપ્તચર સંસ્થાને એવી પાક્કી માહિતી મળી હતી કે આ ઘટનામાં સુખ બિકરીવાલનો હાથ હતો.પંજાબમાં ફરી એકવાર આઇએસઆઇ અને પાકિસ્તાનના ઇશારે ખાલિસ્તાન આતંકવાદ સક્રિય કરવાના સુખના ષડ્યંત્રની માહિતી પણ ગુપ્તચર ખાતાને મળી હતી.ત્યારથી ગુપ્તચર ખાતું સુખને દૂબઇથી ડિપોર્ટ કરાવવાના મિશનમાં લાગી ગયું હતું.
આઇએસઆઇના ઇશારે સુખે પોતાના શૂટર્સ દ્વારા પંજાબના શિવસેનાના નેતા હની મહાજન પર ગોળીબાર કરાવ્યા હતા.હનીને ચાર ગોળી વાગી હતી અને એના એક પાડોશી મરણ પામ્યા હતા.ભારતીય લશ્કરના જવાંમર્દ બલવિંદર સિંઘની હત્યામાં પણ સુખનો હાથ હતો.દૂબઇમાં બેઠાં બેઠાં એ ખાલિસ્તાની આતંકવાદીઓ અને આઇએસઆઇ વચ્ચે કડીનું કામ કરતો હતો.એ માનતો હતો કે પોતે દૂબઇમાં સલામત છે.પરંતુ આખરે એને ઝડપી લેવામાં ભારતને સફલતા મળી હતી.