નવી દિલ્હી : લોકપ્રિય પંજાબી ગાયક અને કોંગ્રેસ નેતા શુભદીપ સિંઘ ઉર્ફે સિદ્ધુ મૂસેવાલાની માણસા જિલ્લામાં ગોળી મારીને ઘાતકી હત્યા કરવામાં આવી છે.આ ફાયરિંગમાં બીજા બે વ્યક્તિ પણ ઘાયલ થયા હતા.પંજાબ સરકારે મૂસેવાલા સહિત 424 લોકોની સુરક્ષા પાછી ખેંચી લીધી હોવાના એક દિવસમાં જ આ ઘટના બની છે.વીઆઇપી કલ્ચર સામેની ભગવંત સિંહ માન સરકારની કાર્યવાહીના ભાગરૂપે તેમની સુરક્ષા કવચ હટાવી દેવામાં આવ્યું હતું.હુમલાખોરોએ એક-૪૭થી આશરે ૩૦ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.હત્યાની જવાબદારી કેનેડા સ્થિતિ ગેંગ્સ્ટર ગોલ્ડી બરાડે લીધી છે.તેણે ફેસબુક પર આ માહિતી આપી હતી. તેણે લખ્યું છે કે મારા સાથીની હત્યાના કેસમાં મૂસેવાલાનું નામ આવ્યું હતું.પરંતુ તે પોતાની પહોંચને કારણે બચી ગયો હતો અને સરકારે તેને સજા આપી નહતી.
પંજાબના માનસામાં મુસેવાલા અને તેમના બે મિત્ર પોતાના ગામમાં કારમાં જઈ રહ્યાં હતા ત્યારે આ હુમલો થયો હતો.મૂસેવાલાની એસયુવી પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું.તેઓ એસયુવીની સીટ પર જ તેઓ ઢળી પડ્યા હતા.એસયુવી પણ લોહીલુહાણ થઈ ગઈ હતી.તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા,પરંતુ ડોક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા હતા.મૂસેવાલા કોગ્રેસની ટિકિટ પર માણસાથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા.