અમદાવાદ : નરોડા પાટીયા પાસે આવેલી ગંગોત્રી સોસાયટીમાં રાતના સમયે પરિવારના સભ્યો ધાબા પર સુતા રહ્યા અને આ દરમિયાન તસ્કરો ઘરમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત રૂપિયા ૨.૪૪ લાખની મત્તાની ચોરી કરી ગયા હતા.એટલું જ નહી ચોરી કરવા સમયે અવાજ થતા મકાન માલિક જાગી ગયા હતા પણ તે તસ્કરોને જોઇને ડરી ગયા હતા.જે તકનો લાભ લઇને ત્રણેય તસ્કરો નાસી ગયા હતા.આ અંગે નરોડા પોલીસે અજાણાયા લોકો સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે ભુપેન્દ્રભાઇ ગોહેલ ગંગોત્રી સોસાયટીમાં આવેલા મકાનના પહેલા માળે પરિવાર સાથે રહે છ અને ટેક્ષટાઇલ મીલમાં નોકરી કરે છે.તેમની સાથે તેમના મોટાભાઇ પણ રહે છે.છેલ્લાં એક સપ્તાહથી તેમના ભાઇ અને ભાભી સામાજીક કામથી લીંબડી ખાતે હતા.સોમવારે રાતના સમયે ભુપેન્દ્રભાઇ, તેમનો પરિવાર ઘરના મુખ્ય દરવાજાને તાળુ મારીને અગાશી પર સુતા હતા.તે સમયે વહેલી પરોઢે ઘરમાં અવાજ થતા ભુપેન્દ્રભાઇના પુત્રએ જાણ કરી હતી.જેથી જાગીને તપાસ કરતા જોયુ તો ઘરમાંથી ત્રણ તસ્કરો બહાર નીકળતા હતા.જો કે ભુપેન્દ્રભાઇ ગભરાઇ ગયા હતા અને તપાસ કરતા જોયું તો ઘરમાંથી તસ્કરો તિજોરી તોડીને તેમાંથી રૂપિયા ૨૧ હજારની રોકડ અને સોના-ચાંદીના દાગીના મળીને કુલ રૂપિયા ૨.૪૪ લાખની મત્તાની ચોરી થઇ હતી.આ અંગે નરોડા પોલીસે તપાસ હાથ ધરી છે.