અમદાવાદ: ગુજરાતમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે.આ દરમિયાન ભાજપના અનેક કાર્યકર્તા અને નેતાઓ પણ સંક્રમિત થયાના સમાચાર છે. આ દરમિયાન મંગળવારે બીજેપીના એક સાંસદ,ભાજપ પ્રવક્તા ભરત પંડ્યા સહિતના નેતાઓ કોરોના સંક્રમિત થયા. બીજી તરફ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ હૉસ્પિટલમં દાખલ થયા હતા.જોકે,તેમનો એન્ટીજન ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો.તેમનો કોરોનાનો RT-PCR રિપોર્ટ બાકી છે.બીજેપી પ્રદેશ અધ્યક્ષ તરીકે ચૂંટાયા બાદ પાટીલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનો પ્રવાસ કર્યો હતો.આ દરમિયાન બીજેપીના અનેક કાર્યકરો અને નેતાઓ કોરોના પોઝિટિવ થયા હતા.જે બાદમાં કૉંગ્રેસ સી.આર. પાટીલને સુપરસ્પ્રેડર ગણાવી રહ્યા છે.મંગળવારે પાટીલ કોરોના પોઝિટિવ હોવાના કેટલાક અહેવાલ વહેતા થયા બાદ વિપક્ષ નેતા પેરશ ધાનાણીએ એક ટ્વીટ કરીને ભાજપના ‘ભાઉં’ પર કટાક્ષ કર્યો છે.
પરેશ ધાનાણીએ ‘કોરોનાનું કેન્દ્રબિંદુ કમલમ’ના મથાળા હેઠળ એક ટ્વીટ કર્યું છે.નોંધનીય છે કે બીજેપી નેતાઓમાં કોરોના કેસ વધતા બુધવારથી ભાજપના કાર્યાલય કમલમ ખાતે નૉ એન્ટ્રી કરી દેવામાં આવી છે.એટલે કે કાર્યાલયના સ્ટાફ સિવાય કોઈને કાર્યાલય ખાતે પ્રવેશ નહીં આપવામાં આવે.
પરેશ ધાનાણીનું ટ્વીટ:
“હાલ ભાજપના ‘ભાઉં’એ ભક્તોને પણ ભરડામાં લીધા છે ત્યારે, હવે “કમળ છાપ” કાર્યકર્તાઓથી તો સૌને દૂર જ રહેવા વિનંતી.નહીંતર પછી ‘કોરોના’ કરડી જાશે
અને ભારે મોટી ‘કઠણાઈ’ થાશે..! સૌને તંદુરસ્ત સ્વાસ્થ્યની શુભેચ્છા.”
બીજેપીની ચિંતન બેઠક રદ
કોરોનાને પગલે બીજેપીની બે દિવસની ચિંતન બેઠક રદ કરી દેવામાં આવી છે.આ બેઠક આગામી 11મી અને 12મી સપ્ટેમ્બરના રોજ યોજનાર હતી.પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેન્સવિલે ખાતે યોજાનાર ચિંતન બેઠકને રદ કરી દેવામાં આવી છે.બીજી તરફ કોરોનાનું એપી સેન્ટર બનેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય કમલમને બંધ કરી દેવામાં આવ્યું છે.સ્ટાફ સિવાય અહીં કોઈને પણ પ્રવેશ કરવાની છૂટ નથી.કમલમનાં મુખ્ય દરવાજા પર પોલીસ કર્મીઓ તૈનાત કરાયા છે.


