– પો.કો. જીગર બારોટને માંડવી જ્યારે મહિપાલસિંહની માંગરોળ બદલી કરવામાં આવી
બારડોલી : સુરત જિલ્લાના પલસાણા પોલીસ સ્ટેશનના બે કોન્સ્ટેબલોએ એક અઠવાડીયા અગાઉ અંત્રોલી ભૂરી ફળિયાના લિસ્ટેડ બુટલેગર તેમજ આર્મ એક્ટ અને બળાત્કારના ગુનામાં વોંટેડ આરોપી રોહિત વાંસફોડિયા અને પલસાણાના લાલુ નામના એક યુવાનને મોટરસાઇકલ ઉપર પકડી લીધા બાદ ઢોર માર મારી છોડી મૂક્યા હતા.આ ઘટનામાં રૂપિયાની માંગ થઈ હોવાના આક્ષેપ સાથે વિવાદ થતાં જિલ્લા પોલીસવડાએ એક કોન્સટેબલની માંડવી જ્યારે બીજાની માંગરોળ ખાતે બદલી કરી દેતા ચકચાર મચી ગઈ છે.
આ અંગે મળતી માહિતી અનુસાર સુરત પોલીસ હાલ વિવાદના ચકડોળે ચઢી છે.બાયોડિઝલ પ્રકરણમાં બે પી.એસ.આઈ અને બે જમાદાર સસ્પેન્ડ થયા હતા.અનેક પોલીસ કર્મચારીની હેડ ક્વાટર બદલી થઈ હતી. જિલ્લા એલસીબી સહિત ત્રણ પી.આઈઓની પણ આંતરિક બદલી થઈ હતી.થોડા દીવસ અગાઉ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે નિયોલ ગામેથી વિદેશી દારૂ પકડતા એલસીબી તેમજ એસઓજીના ચાર પોલીસ કર્મચારીની ડાંગ બદલી કરી દેવામાં આવી હતી એક પછી એક જિલ્લા પોલીસ બેડામાં વિવાદ થતાં રહ્યા છે.આવી પરિસ્થિતીમાં જ પલસાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પો.કો જીગર દિનેશભાઇ અને મહિપાલ રઘુવીરસિંહ નાઓએ એક અઠવાડીયા અગાઉ નાઈટ પેટ્રોલીંગ દરમ્યાન પલસાણા બ્રિજ નીચેથી એક મોટરસાઇકલ ઉપર પસાર થતાં અંત્રોલી ભૂરી ફળિયા ખાતે રહેતા માથાભારે લિસ્ટેડ બુટલેગર રોહિત દિનેશ વાંસફોડિયા તેમજ પલસાણાના લાલુ રાઠોડ નામના યુવાનને પકડી લીધા હતા.
પોલીસે આ પ્રકરણમાં તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની જગ્યાએ બંને યુવાનોને માર મારી મોટી રકમની માંગણી કરી હોવાના આક્ષેપ થયા હતા. આ પ્રકરણમાં બંને યુવાનના મોબાઈલ લઈ તેમને છોડી દેવામાં આવ્યા હતા. ગંભીર બાબત એ હતી કે રોહિત વાંસફોડિયો આર્મએક્ટ ઉપરાંત પ્રિબિશનના ગુનામાં તેમજ યુ.પીમાં બળાત્કારના ગુનામાં વોંટેડ હતો.પોલીસે છોડી મૂક્યા બાદ વિવાદ સર્જાતા સમગ્ર પ્રકરણ જિલ્લા પોલીસવડા પાસે પહોંચ્યું હતું.ત્યારબાદ જિલ્લા પોલીસવડાએ પો.કો જીગર દિનેશભાઈને પલસાણાથી માંડવી બદલી કરી દીધી છે.જ્યારે પો.કો મહિપાલસિંહ રઘુવીરસિંહની પલસાણાથી માંગરોળ ખાતે બદલી કરી દીધી છે.અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી પલસાણા પોલીસ વહીવટને કારણે વિવાદમાં સપડાય રહી છે. હાલમાં હજુ સરકારી અનાજનો ટેમ્પો પકડ્યા બાદ છોડી દેવાનો મુદ્દો ઊભો જ છે.જ્યારે આ પ્રકારની ઘટનાથી જિલ્લા પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે.


