પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓએ ગુરુદ્વારાને તાળું મારીને તેને મસ્જીદ ઘોષિત કરી હોવાની ઘટના સામે આવી છે.સ્થાનિક કટ્ટરપંથી મુસ્લિમોએ ગુરુદ્વારા શહીદગંજ ભાઈ તારુ સિંહને મસ્જિદ હોવાનું કહીને તેની તાળાબંધી કરી દીધી છે.પાકિસ્તાનના ઈવેક્યુ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડ (ETPB) એ કટ્ટરવાદીઓ સાથે મળીને શીખ સમુદાય માટે લાહોરમાં સ્થિત આ ગુરુદ્વારા સાહેબ બંધ કરીને શીખ શ્રદ્ધાળુઓને અહીં આવવા અંગે મનાઈ હુકમ બહાર પાડવામાં આવ્યો છે.આ ઘટના બાદ સ્થાનિક શીખોમાં ભારે નારાજગી અને રોષ જોવા મળી રહ્યાં છે.પાકિસ્તાનમાં ગુરુદ્વારાને મસ્જીદ ઘોષિત કરવાની આ પહેલી ઘટના નથી. 2 વર્ષ પહેલા પણ આ ઐતિહાસિક ગુરુદ્વારા સાહેબને મસ્જિદ કહેવામાં આવી હતી.ત્યારે ભારત તરફથી પાકિસ્તાન સામે સખત વાંધો વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ગુરુદ્વારાને લઈને શું છે વિવાદ?
કટ્ટરપંથીઓ માને છે કે ગુરુદ્વારા શહીદગંજ ભાઈ તારુ સિંહ એક સમયે દારા શિકોહનો પ્રખ્યાત મહેલ હતો.દારા શિકોહ તેની હત્યા પહેલા અહીં રહેતો હતો.તેની હત્યા તેના નાના ભાઈ ઔરંગઝેબે કરી હતી.તો બીજી તરફ શીખોનું માનવું છે કે લાહોરના ગવર્નર અને મુઘલ સામ્રાજ્યના પ્રતિનિધિ મીર મન્નુના આદેશ પર અહીં હજારો નિર્દોષ શીખ પુરુષો,સ્ત્રીઓ અને બાળકોની હત્યા કરવામાં આવી હતી.ઇસ્લામિક કટ્ટરપંથીઓએ તેમની સામે ઘૂંટણિયે ન ટેકનારાઓને અત્યંત ક્રુરતાથી ત્રાસ આપ્યો અને મારી નાખ્યા.આવા બહાદુર યોદ્ધાઓમાં એક ભાઈ તારુ સિંહ પણ હતા.અપાર ગુરુદ્વારા શહીદ ગંજ ભાઈ તારુ સિંહ તેમના નામ પર લાહોર- પાકિસ્તાનમાં બનાવવામાં આવ્યું હતું,જે તેમનું શહીદ સ્થળ છે.અહેવાલો અનુસાર શીખોનો દાવો છે કે મીર મન્નુએ અહીં દિવાન કૌરા માલના કહેવા પર ગુરુદ્વારા સ્થાપવાની પરવાનગી આપી હતી.તો બીજી તરફ કટ્ટરવાદીઓનું કહેવું છે કે શીખોએ આ મસ્જિદ પર બળજબરીથી કબજો કર્યો છે.
શહીદ ભાઈ તારુ સિંહ કોણ હતા?
પંજાબ યુનિવર્સિટી, પટિયાલાના ‘શીખ વિશ્વકોશ’ અનુસાર ભાઈ તારુસિંહનો જન્મ અમૃતસરના ફૂલા ગામમાં સંધુ જાટ પરિવારમાં થયો હતો.તે સમયે શીખો મુઘલો સામે યુદ્ધ લડી રહ્યા હતા.ભાઈ તારુસિંહની 1 જુલાઈ, 1745ના રોજ 25 વર્ષની ઉંમરમાંજ હત્યા કરવામાં આવી હતી.ઈસ્લામ ન સ્વીકારવા બદલ ભાઈ તારુ સિંહનું માથું ધડથી વાઢી નાંખવામાં આવ્યું હતું.તેમને શીખ સમુદાયના મહાન બલિદાની તરીકે યાદ કરવામાં આવે છે.