પાકિસ્તાન : પાકિસ્તાનની નવી સરકારે ગૃહ મંત્રાલયને પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ અને પૂર્વ નાણા મંત્રી ઈશાક ડારના પાસપોર્ટ રિન્યુ કરવાનો નિર્દેશ આપ્યો છે.બુધવારે એક સમાચારમાં આ માહિતી આપવામાં આવી હતી.નવાઝ શરીફના નાના ભાઈ શેહબાઝ શરીફ દેશના નવા વડાપ્રધાન બન્યા બાદ નવાઝના લંડનથી પરત ફરવાને લઈને સત્તાધારી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)માં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. એક ટીવી એજન્સીના સૂત્રોને ટાંકીને જણાવાયું હતું કે લંડનમાં પાકિસ્તાની હાઈ કમિશનને પણ PML-N નેતાઓના પાસપોર્ટ રિન્યૂ કરવાનું કામ શરૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.ઇમરાન ખાનની આગેવાની હેઠળની અગાઉની સરકારે 72 વર્ષીય પીએમએલ-એન પ્રમુખ નવાઝ શરીફ સામે ભ્રષ્ટાચારના અનેક કેસ દાખલ કર્યા હતા.પનામા પેપર્સ કેસમાં નામ આવતાં જુલાઈ 2017માં સુપ્રીમ કોર્ટના આદેશ પર શરીફને પદ છોડવું પડ્યું હતું.નવાઝ શરીફ 2019માં લાહોર હાઈકોર્ટ પાસેથી વિદેશ જવાની પરવાનગી મળતા સારવાર માટે ચાર અઠવાડિયા માટે લંડન ગયા હતા.તેમણે લાહોર હાઈકોર્ટને ચાર અઠવાડિયામાં પાકિસ્તાન પરત ફરી કાનૂની પ્રક્રિયાનો સામનો કરવા અથવા ડૉક્ટરો દ્વારા તેમને મુસાફરી માટે યોગ્ય જાહેર કરવામાં આવ્યા બાદ તરત જ પાકિસ્તાન પાછા ફરવા માટેનું સોગંદનામું આપ્યું હતું. ઈમરાન ખાનની સરકારે નવાઝ શરીફના પાસપોર્ટને રિન્યુ કરવાનો ઈન્કાર કરી દીધો હતો, જે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં એક્સપાયર થઈ ગયો હતો. પરંતુ તત્કાલીન ગૃહમંત્રી શેખ રશીદે કહ્યું હતું કે જો પીએમએલ-એન પ્રમુખ પાછા આવવા માંગતા હોય તો તેમને વિશેષ પ્રમાણપત્ર જારી કરી શકાય છે.