અમદાવાદ: પાકિસ્તાન પોતાની નાપાક હરકતોથી પંકાયેલું છે.તેવામાં ગુજરાતના 1,600 કિલોમીટર લાંબા દરિયાકાંઠે માછીમારીના ધંધા સાથે સંકળાયેલા માછીમારોએ પ્રધાનમંત્રી મોદી પાસે મદદની ગુહાર લગાવી છે.મધદરિયે અનેકવાર પાકિસ્તાન મરીન ચાંચિયાઓ તરફથી અપહરણ અને લૂંટની ઘટના અને સાઇક્લોન જેવી કુદરતી આપદાઓથી બચાવવા માટે માછીમારોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે.
પાકિસ્તાન મરીન ચાંચિયાની દાદાગીરીને લઈ બોટ એસોસિએશને PM મોદી પાસે સુરક્ષાની માંગ કરી છે.આ ઉપરાંત મત્સ્યપાલન ક્ષેત્રે આધુનિકરણ કરવા પણ પીએમને અપીલ કરી છે.માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ તુલસી ગોહેલે જણાવ્યું કે,રાજ્યમાં 2 લાખ માછીમારો માછીમારી સાથે સંકડાયેલા છે.ઊંડા દરિયામાં માછીમારોએ સુરક્ષા જરૂરી છે.ઘણી વખત વાવાઝોડા અથવા તોફાનો આવે છે,જેની સમયસર માહિતી કે ચેતવણીના અભાવે માછીમારો દરિયામાં ફસાઈ જાય છે. ઘણીવાર બોટ કે વહાણ ડૂબી જાય છે.
માછીમાર દરિયો ખેડતા હોય છે ત્યારે ક્યારેક બોર્ડર પાર થઇ જાય છે.નૉન-ફિશિંગ એરિયામાં તેની ખબર નથી રહેતી.જેથી આધુનિક ટેક્નોલોજીની જરૂરિયાત ઊભી થઈ છે. હાલમાં જ પાકિસ્તાન તરફથી 49 જેટલા માછીમારોનું અપહરણ થયું હતું.ગુજરાતના 300 માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધ છે.એવી જ રીતે માછીમારો સાથે લૂંટ ચલાવવામાં આવી છે,અનેક વખત બોટ લૂંટી લેવામાં આવે છે.અત્યાર સુધીમાં 900 જેટલી બોટ પાકિસ્તાન મરીન લઈ ગયું છે.દર વર્ષે આવી ચારથી પાંચ લૂંટ કે અપહરણની ઘટના બને છે.
બીજું કે માછીમારોનો 15 નોટિકલ માઈલ બહાર ગયા બાદ સંપર્ક નથી થતો.એટલે દૂર ગયા બાદ સાઇક્લોન કે તોફાનની જાણ થતી નથી.ત્યારે માછીમારોએ અત્યંત આધુનિક ટેક્નોલોજીની માંગ કરી.દેશમાં ફિશિંગ બિઝનેસ માટે આધુનિક ટેક્નોલોજી હોવાથી માછીમારોએ તેમને સેટેલાઇટ ફોન મળે તેવી માંગ કરી છે.
મહત્ત્વનું છે કે કોરોનાને કારણે પણ માછીમારોને મોટું નુકસાન થયું છે.લૉકડાઉન જાહેર થતા 14 માર્ચે 25 હજાર બોટ પરત બોલાવી દેવાઈ હતી.ત્યારથી માંડી અત્યાર સુધીમાં માછીમારી ધંધામાં 35 ટકા ઘટાડો આવ્યો છે.કોરોના કાળમાં 1 બોટને 3 લાખ રૂપિયાનું નુકસાન ગયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.માછીમારી કરતી બોટની સંખ્યા 20થી 25 હજાર હોવાથી નુકસાનીનો અંદાજ લગાવી શકાય છે.


