વલસાડ, 11 જૂન : પારડીમાં પત્ની પિયરે ગયા બાદ બાળકીની હત્યા કરનારના જામીન ના મંજૂર કર્યા છે.પારડીના વલસાડી ઝાંપા ખાતે રહેતા બિનલબેન સંજયભાઇ મનજી ધરણીયાએ 8 એપ્રિલ 2020ના રોજ પારડી પોલીસમાં ફરિયાદ નોંધાવી જણાવેલ કે,તેમનો પહેલો પતિ રાજેશ કાલીદાસ પ્રેગ્નેન્સી વખતે ખુબજ મારતો હોવાથી તે પારડીમાં પિયરે આવી ગઇ હતી.જ્યાં તેમણે એક દીકરીને જન્મ આપ્યા હતા.ત્યારબાદ વર્ષ 2015માં સંજય સાથે પ્રેમસંબંધ થતા પ્રેમલગ્ન કરી તેની સાથે પત્ની તરીકે રહેતી હતી.જેના થકી તેમને એક છોકરો અને એક છોકરી થઇ હતી.પતિ સંજયના કબ્રસ્તાન રોડ ઉપર રહેતી દક્ષા નામની મહિલા સાથે આડાસંબંધની જાણ થતા અવારનવાર પતિ-પત્ની વચ્ચે ઝગડા થતા હતા.8 એપ્રિલે દક્ષા સાથે સંબંધ ન રાખવા કહેતા સંજયે છોડી દેવાની ધમકી આપી આજે એક બે જણાની જાન લેવાની છે કહી પત્નીને માર માર્યો હતો.જેથી તે બંને બાળકોને ઘરે જ છોડી પિયરે જતી રહી હતી.સાંજે તેને જાણ થઇ હતી કે,પતિએ અદાવત રાખી દોઢ વર્ષીય છોકરી માહીનું ગળુ દબાવી હત્યા કરી નાંખી છે.આ કેસમાં વાપીના એડિશનલ સેશન્સ જજ કે.જે.મોદીએ હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપી પિતા સંજય ધરનીયાએ કરેલ રેગ્યુલર જામીન અરજી ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ય રાખી અરજી નામંજૂર કરી હતી.