સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં મુખ્ય પક્ષો કોંગ્રેસ-ભાજપમાં હજી ઉમેદવારી નક્કી કરવામાં જ પડ્યા છે.જો કે હવે ઉમેદવારી પત્ર ભરવા માટેની છેલ્લી તારીખ 6 ફેબ્રુઆરી છે,ત્યારે ભાજપના સિનિયર નેતાઓ ઝટપટાહટ જોવા મળી રહી છે.ભાજપે 3 ટર્મ ભોગવનારાઓને ટિકિટ નહીં આપવાનો નિર્ણય લેતા પૂર્વ ડે.મેયર નિરવ શાહ પણ આ યાદીમાં આવી ગયા છે. જો કે તેમણે ટિકિટ વગર જ અડાજણ ખાતે એક દુકાન ભાડે રાખી કાર્યાલયનું શટર ઉંચુ કરી દીધું છે.તેમને વિશ્વાસ છે કે તેઓ અપક્ષમાંથી નહિ પણ ભાજપમાંથી જ ચૂંટણી લડવા જઇ રહ્યા છે.
બીજી બાજુ સુરત મહાનગર પાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવાની જાહેરાતના ત્રીજા દિવસે બુધવારે બે વોર્ડમાં ઉમેદવારી નોંધાવવાના શ્રીગણેશ થયા છે. જ્યારે વધુ 368 ઉમેદવારીપત્ર વહેંચાયા છે. ઉમેદવારી જાહેર કરવામાં આપ પક્ષ આગળ છે તેમણે તમામ બેઠકો પર ઉમેદવાર જાહેર કરી દીધા છે અને સ્ટાર પ્રચારકો સાથે જાહેર સભા સહિતના નાના-મોટા કાર્યક્રમો પ્રચાર કરવામાં મંડી પડ્યા છે.કોંગ્રેસમાં 9 સિટિંગ કોર્પોરેટરોને રિપિટ કરી ગણતરીની જ સિટો પર ઉમેદવારો જાહેર કરવામાં હજી નથી આવ્યા. પરંતુ ગણતરીના ત્રણ દિવસ બાકી હોય શનિવારે અંતિમ દિવસે ઉમેદવારી ફોર્મ ભરવા માટે ભારે ભીડ જામે તેવી સ્થિતિ સર્જાઇ શકે છે.અત્યાર સુધી માત્ર બે જ અન્યો એ ઉમેદવારી ફોર્મ ભર્યા છે.
2015ના EVMનું ટેસ્ટીંગ કરી સીલ મરાયા
અઠવાડિયાથી તમામ 4400 ઇવીએમ મશીનોનું ચેકિંગ ચાલતું હતું છેલ્લા બે દિવસ પહેલાં જ ટેસ્ટીંગ કામગીરી પૂર્ણ થઈ છે.પાલિકાની માલિકીના તમામ ઇવીએમની જવાબદારી પાલિકાની જ છે અને માત્ર મહાપાલિકાની ચૂંટણી માટે જ તેનો ઉપયોગ કરવામાં આવે છે. અગાઉ 2015 માં આ ઇવીએમ નો ઉપયોગ કરવામાં આવ્યો હતો હવે પાંચ વર્ષ બાદ ફરી આ ઈવીએમનો ઉપયોગ કરાશે.
આપમાંથી એનસીપીમાં જોડાયા!!
કોંગ્રેસમાંથી ઉમેદવારો જાહેર કરવાનું શરૂ થતાં સાથે ઉમેદવારો સામે વિરોધ પણ શરૂ થઈ ગયો છે.જ્યારે પક્ષ પલ્ટુઓ પણ લાલચે બીજા પક્ષની કંઠી બાંધી લે છે વરાછામાં આપ માંથી કેટલાંક કાર્યકરોએ સાથ છોડીને એનસીપીમાં જોડાયા છે.
આત્મનિર્ભર ઉમેદવાર-અપક્ષમાંથી નહિ પણ ભાજપમાંથી જ ચૂંટણી લડીશ:નિરવ શાહ
ભાજપની પાર્લામેન્ટરી બોર્ડે લીધેલા નિર્ણયમાં 3 ટર્મ ભોગવાનારા તમામ અનુભવી નગરસેવકની ટિકિટ કપાઇ છે.જેમા મેયર,ડે.મેયર સહિતના ભાજપના સિનિયર નેતાઓ પણ આવે છે.આ નિર્ણયને પગલે મંગળવારે જૈન સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યાં હતા. આવખતે ચૂંટણી નહિ લડી શકાય તેવી સ્થિતિ હોવા છતાં નિરવ શાહે જૈન સમાજ અને કાર્યકર્તાના સપોર્ટના સહારે અડાજણમાં સરદાર કોમ્પ્લેક્ષમાં પોતાના કાર્યાલય માટે દુકાન ભાડે રાખી સાફ-સફાઇ સહિતની કામગીરીના શ્રીગણેશ કરી દીધા છે.ભાજપે ઉમેદવારે હજુ સુધી યાદી બહાર પાડી નથી તેમ છતાં નિરવ શાહે ચૂંટણી માટેની તૈયારીઓની દોડધામ ચાલુ કરી દીધી છે અને વી ફોર વીક્ટરીના એમના ફોટોગ્રાફ સાથેનો પોઝ આપતી સ્ટાઇલ જ કહે કે,આ વખતે આર યા પારની લડાઇ લડવાની છે.