વૈશાખ મહિનાના સુદ પક્ષની આઠમના રોજ દેવી બગલામુખીનો પ્રાગટ્યોત્સવ ઉજવવામાં આવે છે.આ કારણે આ તિથિને બગલામુખી જયંતિ તરીકે ઊજવવામાં આવે છે.બગલામુખી માતા ધર્મમાં 10 મહાવિદ્યાઓમાંથી એક છે.કાંગડા જનપદના કોટલા વિસ્તારમાં બગલામુખીનું સિદ્ધ શક્તિપીઠ છે.પોતાની ઈચ્છા પૂરી કરવા માટે લોકો અહીંયા આવે છે.માતા બગલામુખીનું મંદિર જ્વાલામુખીથી 22 કિલોમીટર દૂર વનખંડી નામની જગ્યાએ આવેલું છે.આ રાષ્ટ્રીય માર્ગ પર કાંગડા એરપોર્ટથી પઠાનકોટ તરફ 25 કિલોમીટર દૂર કોટલા વિસ્તારમાં પહાડી પર છે.આ મંદિર પ્રાચીન કોટલા કિલ્લાની અંદર છે. બગલામુખીનું મંદિરમાં હવન કરવાનું વિશેષ મહત્ત્વ છે.તેનાથી મુસીબતોમાંથી છૂટકારો મેળવવાની સાથે બીમારીઓ દૂર થાય છે.તેમજ દુશ્મનો પર જીત મળે છે.યુદ્ધ રાજનીતિથી જોડાયેલા મામલા અથવા કોર્ટ કચેરીના વિવાદોમાં જીત પામવા માટે આ મંદિરમાં દેવીની વિશેષ પૂજા કરાવવામાં આવે છે.
માતા બગલામુખી 10 મહાવિદ્યાઓમાંથી 8મા છે.તેમની આરાધના ખાસ કરી દુશ્મનોથી છૂટકારો મેળવવા માટે થાય છે.ધર્મ ગ્રંથો પ્રમાણે,માતા બગલામુખીની આરાધના સૌ પ્રથમ બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુએ કરી હતી ત્યારબાદ ભગવાન વિષ્ણુના અવતાર પરશુરામે માતાની પૂજા કરી અનેક લડતો જીતી.દ્રોણાચાર્ય,રાવણ,મેધનાથ સહિતના તમામ મહાયોદ્ધાઓએ માતા બગલામુખીની આરાધના કરી અનેક યુદ્ધ લડ્યા.મંદિરના પૂજારીના જણાવ્યા પ્રમાણે,આ મંદિરની સ્થાપના દ્વાપર યુગમાં પાંડવોએ અજ્ઞાતવાસમાં કરી હતી.ત્યારબાદ અર્જુન અને ભીમે શક્તિ પામવા માટે અહીં પૂજા કરી હતી.
પિતાંબરા : દસમહાવિદ્યાઓમાં આઠમી વિદ્યા
દેવી બગલામુખીને પીળો રંગ ખૂબ જ ગમે છે.એટલે તેમનું એક નામ પિતાંબરા પણ છે.આ રંગ પવિત્રતા,આરોગ્ય અને ઉત્સાહનો રંગ માનવામાં આવે છે.તેમની પૂજામા પીળા રંગના કપડા,ફૂલ,આસન,માળા,મીઠાઈ અને અન્ય સામગ્રીઓનો રંગ પણ પીળો જ હોય છે.રોગ અને મહામારીથી બચવા માટે હળદર અને કેસરથી દેવી બગલામુખીની વિશેષ પૂજા કરવી જોઈએ.દેવી દુર્ગાની દસ મહાવિદ્યાઓમાં આ આઠમી વિદ્યા છે.આ દેવીની પૂજાથી દુશ્મન,રોગ અને ઉધારીથી પરેશાન લોકોને લાભ મળી શકે છે.
વ્રત અને પૂજા વિધિઃ-
– સવારે જલ્દી જાગીને સ્નાન કરો અને પીળા રંગના કપડા પહેરો.
– પૂર્વ દિશામાં તે સ્થાને ગંગાજળ છાંટો જ્યાં પૂજા કરવાની છે.
– તે જગ્યાએ એક બાજોટ મુકીને તેના ઉપર માતા બગલામુખીની મૂર્તિ કે ફોટો સ્થાપિત કરો. તે પછી આચમન કરીને હાથ ધોવો અને પાણી છાંટીને આસન પવિત્ર કરો.
– હાથમાં પીળા ચોખા, હળદર, પીળા ફૂલ અને દક્ષિણા લઇને માતા બગલામુખી વ્રતનો સંકલ્પ કરો. માતાની પૂજા ખાસ કરીને પીળા ફળ અને પીળા ફૂલથી કરો.
– ધૂપ,દીપ અને અગરબત્તી પ્રગટાવો. પછી પીળી મીઠાઈનો પ્રસાદ ચઢાવો.
– વ્રતના દિવસે નિરાહાર રહેવું જોઈએ.રાતે ફળાહાર કરી શકો છો.બીજા દિવસે પૂજા કર્યા પછી જ ભોજન કરો.