લોકોના આરોગ્ય સાથે ખેલીને નફાખોરી કરનારા તત્વોને પકડીને સરકારે એવી સજા કરવી જોઇએ કે જેથી તેમના જેવું કરવાની હિંમત બીજું કોઇ કરી શકે નહીં.પહેલાં કોરોના અને હવે બ્લેક ફંગસની સારવારમાં વપરાતી દવાઓની સંગ્રહાખોરી અને કાળાબજાર થઇ રહ્યાં છે.આ રોગમાં વપરાતી દવા બજારમાંથી ગાયબ થઇ ચૂકી છે.
મેડીકલ માફિયાઓએ ગુજરાતને બાનમાં લીધું છે.માર્ચ અને એપ્રિલમાં કોરોના સંક્રમણના કેસો તીવ્ર સપાટીએ આવ્યા હતા અને હોસ્પિટલમાં દર્દીને બેડ,દવા અને ઓક્સિજન મેળવવાના ફાંફા હતા ત્યારે મેડીકલ માફિયાઓએ મેડીકલના સાધનોની કાળાબજારી શરૂ કરી હતી જેનો ચેપ દેશના અન્ય રાજ્યોને પણ લાગ્યો છે.ડ્રગ્સ કમિશનર પાસે કડક સજાની જોગવાઇ નહીં હોવાથી ગુનેગારો બિન્દાસ છૂટી જાય છે.
ગુજરાતમાં કોરોના સંક્રમિત દર્દીને બ્લેક ફંગલ નામનો કાતીલ રોગ લાગી જાય છે ત્યારે તેના ઉપચાર માટે વપરાતી એન્ફોટેરિક અથવા લિપોસોમલ એન્ફોટિરિસિન-બી નામના ઈન્જેક્શન બજારમાંથી ગાયબ થઇ ગયા છે.મેડીકલ માફિયાઓએ કાળાબજારમાં વેચવા માટે તેની સંગ્રહાખોરી કરી લીધી છે. કોરોના કાળમાં જે દવાની માંગ વધે છે તે દવા મોંઘી થાય છે અથવા તો બજારમાંથી ગાયબ થઇ જાય છે.
ઓક્સિજન અને રેમડેસિવર બાદ હવે માર્કેટમાં બ્લેક ફંગસની દવાના કાળાબજાર થયાં છે.કોરોનાની દવા અને ઓક્સિજનની અછત સામે ઝઝૂમી રહેલા દર્દીઓના પરિવાર પર વધુ એક આફત બ્લેક ફંગસના રૂપમાં સામે આવી છે.જેમ તેમ કરીને ઓક્સિજન અને રેમડેસિવિર મેળવ્યા બાદ હવે દર્દીઓને બ્લેક ફંગસની સારવાર મળી રહી નથી.
આ દવા નહીં મળવાનું કારણ સંગ્રહાખોરી અને નફાખોરી છે.બ્લેક ફંગસના દર્દીને એન્ફોટેરિક અથવા લિપોસોમલ એન્ફોટોરિસિન-બી નામના ઈન્જેક્શન લગાવવાની સલાહ તબીબો આપે છે ત્યારે બજારમાં આ દવા કે ઇન્જેક્શન ઉપલબ્ધ નથી.દર્દીના પરિવારજનોનું કહેવું છે કે કોવિડની સારવારમાં તમામ બચત સાફ થઇ રહી છે તેમ છતાં સારવાર માટે દવાઓ મળતી નથી.અન્ય રાજ્યોની જેમ ગુજરાતના દવા બજારમાં ફરી એક વખત દવાઓ માટે લાઈનો જોવા મળી રહી છે.સવારથી લોકો લાંબી લાંબી કતારોમાં લાગે છે.આ વખતે રેમડેસિવિર માટે નહીં પરંતુ નવી બિમારી બ્લેક ફંગલ માટે લાઈનો લાગી રહી છે.લોકો સવારથી લાઈનો લગાવીને ઉભા છે પણ દવા મળતી નથી.જો દવા મળે છે તો તેના બમણાં કે ત્રણગણા ભાવ ચૂકવવા પડે છે તેમ છતાં સરકારનું તંત્ર મેડીકલ માફિયાઓ સામે કોઇ પગલાં લઇ શકતું નથી.
જાણકારો કહે છે કે મેડિકલ માફિયાઓ સામે હવે કડક કાર્યવાહી કરવાનો સમય આવી ગયો છે.આ સમયે જો સરકાર કડક પગલા નહીં લે તો લોકો માફ નહીં કરે.મધ્યપ્રદેશમાં કાળાબજાર કરનારાઓ સામે એનએસએની કલમ લગાવવામાં આવી છે.તે રીતે જ ઉત્તરપ્રદેશમાં પણ તે કલમ લગાવવામાં આવશે.આ કલમ હેઠળ જામીન મળતા નથી અને છૂટવું અઘરૂં હોય છે.