બંગાળની ખાડીમાં લો-પ્રેશર સર્જાતા વાવાઝોડું ઉઠયું છે.આગામી ૧૦મી મેના રોજ આ વાવાઝોડું પૂર્વકાંઠે ત્રાટકી શકે છે.દરિયાકાંઠાના ઓડિશા અને આંધ્રપ્રદેશને એલર્ટ આપવાની સાથે માછીમારોને પણ ચેતવણી અપાઈ છે.ભારતીય હવામાન વિભાગના કહેવા પ્રમાણે બંગાળની ખાડીમાં આંદામાન નિકોબાર ટાપુઓ નજીક લૉ-પ્રેશર સર્જાતા વાવાઝોડું ઉઠયું છે.બંગાળની ખાડી થઈને વાવાઝોડું દરિયા કાંઠાના રાજ્યોમાં ત્રાટકે એવી શક્યતા છે.બંગાળની ખાડીમાં ૮૦થી ૯૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો હતો.તેના કારણે દરિયામાં એલર્ટ જારી કરીને માછીમારોને દરિયામાં ન જવાની તાકીદ કરવામાં આવી છે.હવામાન વિભાગના કહેવા પ્રમાણે પૂર્વીય તટના રાજ્યોમાં લો પ્રેશરથી વરસાદ ખાબકશે.તે ઉપરાંત હવાની ગતિ પણ વધશે. જોકે, હજુ સુધી સ્પષ્ટ કરવામાં આવ્યું ન હતું કે વાવાઝોડું કાંઠે ત્રાટકશે ત્યારે કેટલું શક્તિશાળી હશે.હવામાન વિભાગના આંકડાં પ્રમાણે ૧૦મી મેના રોજ પશ્વિમ બંગાળ, ઓડિશા, તમિલનાડુમાં વરસાદ સાથે વાવાઝોડું ત્રાટકી શકે.અત્યારે વાવાઝોડાંની ગતિ અને રસ્તો જોતાં એ ઓડિશાના કાંઠેથી આંધ્રપ્રદેશ તરફ ફંટાશે અને એ પછી પૂરું થઈ જશે. વાવાઝોડું ત્રાટકવાની શક્યતાના પગલે ઓડિશામાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટૂકડીઓને તૈનાત કરવામાં આવી છે.તે ઉપરાંત ફાયર ફાયટર્સની ટીમ પણ એલર્ટ જારી કરાયો છે. એ જ રીતે આંધ્રપ્રદેશમાં પણ બચાવ ટૂકડીઓ તૈનાત થઈ છે.

