અમદાવાદ : તા.14 જુલાઈ 2022,ગુરૂવાર : પૂર્વ આઇપીએસ ડી.જી.વણઝારાના મામલતદાર પુત્ર અર્જુનસિંહ વણઝારા વિરુધ્ધની લાંચ કેસમાં ક્રિમીનલ પ્રોસીડીંગ્સ પડતી મૂકવાનો ગુજરાત હાઇકોર્ટ સાફ ઇન્કાર કરી દીધો છે.જો કે,હાઇકોર્ટે વણઝારાના પુત્રને આ લાંચ કેસમાંથી મુકિત આપતાં પોલીસના સમરી રિપોર્ટને હાઇકોર્ટે બહાલી આપી હતી.વડોદરામાં જમીનની એન્ટ્રી સંદર્ભે લાંચ માંગવાના કેસમાં વણઝારાના પુત્ર અર્જુનસિંહ દ્વારા કરાયેલી અરજી હાઇકોર્ટ અંશતઃ ગ્રાહ્ય રાખી હતી.પરંતુ કેસમાંથી સંપૂર્ણ રાહત આપવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો.
પૂર્વ આઇપીએસ ડી.જી.વણઝારાના પુત્ર અર્જુનસિંહ વણઝારા ૨૦૧૬માં વડોદરા(ગ્રામ્ય)ના મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા ત્યારે ચિંતન પટેલ નામની વ્યકિત પાસેથી જમીનની એન્ટ્રીની નોંધ સંદર્ભે એક લાખ રુપિયાની લાંચ માંગી હતી.જેથી ફરિયાદીએ આ અંગે એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી અને તા.૫-૭-૧૬ના રોજ એસીબી દ્વારા છટકુ ગોઠવવામાં આવ્યું હતું.
દરમ્યાન આ કેસમાં પોલીસે તપાસ કરીને જૂલાઇ-૨૦૧૭માં વડોદરા કોર્ટમાં સમરી રિપોર્ટ ફાઇલ કર્યો હતો,જેમાં વણઝારાના પુત્રને પુરાવાના અભાવે લાંચ કેસનો કોઇ ગુનો બનતો નહી હોવાનું જણાવાયું હતું. આ રિપોર્ટને વડોદરા સેશન્સ કોર્ટે તા.૩૧-૫-૨૦૧૯ના રોજ નામંજૂર કરી કેસમાં વધુ તપાસનો હુકમ કર્યો હતો.જેનાથી નારાજ થઇ વણઝારાના પુત્ર અર્જુનસિંહ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં રિટ અરજી કરાઇ હતી. જેમાં એવી દલીલ કરાઇ હતી કે,નીચલી કોર્ટ દ્વારા પ્રોસીકયુશન માટે સરકારની મંજૂરી લીધા વિના આ કેસમાં અરજદાર વિરુધ્ધ પ્રોસીડીંગ્સ હાથ ધરાઇ છે અને સમરી રિપોર્ટ નામંજૂર કરાયો છે,જે હુકમ અયોગ્ય,ગેરકાયદે અને સત્તા બહારનો ગણાય.આ સંજોગોમાં વડોદરા સેશન્સ કોર્ટના હુકમને રદ કરવો જોઇએ અને આ કેસમાં અરજદાર વિરુધ્ધની પ્રોસીડીંગ્સ પડતી મૂકવાનો હાઇકોર્ટે હુકમ કરવો જોઇએ.


