રખડતા ઢોરના (Stray cattle) આતંકથી અત્યાર સુધી સામાન્ય પ્રજા તો ત્રસ્ત હતી, પણ હવે તો સરકારના જ એક નેતાને રખડતા ઢોરે અડફેટે લીધા છે.મહેસાણા જિલ્લાના કડીમાં તિરંગા રેલી દરમિયાન પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને ગાયે અડફેટે લીધા હતા.કડીના કરણપુર શાક માર્કેટ નજીક ગાયે નીતિન પટેલને હડફેટે લેતા ઢીંચણના ભાગે ઇજા પહોંચી છે.જેથી પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલને સારવાર અર્થે કડીની ભાગ્યોદય હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મહેસાણા જિલ્લાના કડીના જાહેર માર્ગો પર મોટી સંખ્યામાં ગાયો અને આખલાઓ અડિંગો જમાવીને બેસી રહે છે.આ જાનવરો આવતા જતાં રાહદારીઓ તેમજ વાહન ચાલક પર હુમલો કરી તેમને ઘાયલ કરી દેતા હોય છે.જેનો ભોગ આજે નીતિન પટેલ બન્યા છે.કડીમાં આયોજિત તિરંગા યાત્રામાં નીતિન પટેલ સામેલ થયા હતા.તિરંગા યાત્રા શાક માર્કેટ આગળથી પસાર થઇ રહી હતી તે દરમિયાન અચાનક આવી ચડેલ ગાયે નીતિન પટેલ પર હુમલો કરી દેતા ઈજાગ્રસ્ત થયા હતા.ઘાયલ નીતિન પટેલને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમની વધુ સારવાર ચાલી રહી છે.કડીમાં રખડતા ઢોરનો પરચો થોડા દિવસ અગાઉ એક વિદ્યાર્થીને પણ મળી ચુક્યો છે.શહેરના દેત્રોજ રોડ પરથી પસાર થઇ રહેલ વિદ્યાર્થી પર ગાયે હુમલો કરી દઈ તેને પાડી દીધો હતો.આ બાદ તેને લાતો મારી ઈજાગ્રસ્ત કર્યો હતો. આ ઘટનાનો કડી નગરપાલિકાએ કોઈ સબક લીધો ન હતો જેના પરિણામ સ્વરૂપ રાજ્યના એક મોટા નેતાને દવાખાના ભેગું થવું પડ્યું છે.કડી નગરપાલિકા તાત્કાલિક ધોરણે રખડતા ઢોરને પાંજરે પુરે તેવી સ્થાનિકોએ માંગ કરી છે.