મુંબઈ : મહારાષ્ટ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર વૅટ ઘટાડવાની જાહેરાત કર્યાના બીજા દિવસે બીજેપીના નેતા દેવેન્દ્ર ફડણવીસે આ પગલાને સદંતર છેતરપિંડી ગણાવતાં કહ્યું હતું કે રાજ્ય સરકારે લોકોને વધુ મૂર્ખ બનાવ્યા વિના ઈંધણના ભાવ તત્કાળ ઘટાડવા જોઈએ.રાજ્ય સરકારના દાવા પ્રમાણે ભાવમાં થયેલો ઘટાડો વાસ્તવમાં ઈંધણ પરની એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાના કેન્દ્રના નિર્ણયનું સ્વાભાવિક પરિણામ છે, એમ દેવેન્દ્ર ફડણવીસે ટ્વીટમાં જણાવ્યું હતું.કેન્દ્ર સરકારે શનિવારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટી ઘટાડી હતી.રવિવારે શિવસેનાની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરના વૅટ(વૅલ્યુ ઍડેડ ટૅક્સ)પર અનુક્રમે ૨.૦૮ રૂપિયા અને ૧.૪૪ રૂપિયાનો ઘટાડો કર્યો હતો.રાજ્ય સરકારના પગલા અંગે પ્રતિક્રિયા આપતાં દેવેન્દ્ર ફડણવીસે ટ્વીટ કરી હતી કે‘મહાવિકાસ આઘાડીએ મે મહિનામાં લોકોને એપ્રિલ ફૂલ બનાવ્યા છે.અમે ફરી માગણી કરીએ છીએ કે લોકોને વધુ મૂર્ખ બનાવ્યા વિના મહાવિકાસ આઘાડીએ તાત્કાલિક ઈંધણના ભાવ ઘટાડવાનો નિર્ણય લઈને નાગરિકોને રાહત આપવી જોઈએ.’