નવી દિલ્હી : ભગવાન વિષ્ણુના ચોથા અવતાર ભગવાન નરસિંહની 25મી મે 2021ના ગુરુવારે જયંતી છે.વૈશાખ મહિનાની શુકલ પક્ષની ચૌદશના રોજ ભગવાન નરસિંહે પોતાના ભક્ત પ્રહલાદની રક્ષા માટે હિરણ્યકશ્યપને મારવા માટે આ અવતાર લીધો હતો.ભગવાન નરસિંહ દૈત્ય રાજા હિરણ્યકશ્યપને મારવા માટે થાંભલો ફાડીને પ્રગટ થયા હતા અને તેમણે અડધુ નર અને અડધુ સિંહનું સ્વરૂપ ધારણ કર્યું હતું.આથી તેઓ નરસિંહ કહેવાયા.ભગવાન નરસિંહના આમ તો અનેક મંદિર છે પરંતુ ઉત્તરાખંડના ચમોલી જિલ્લા પાસે જોશીમઠમાં આવેલું મંદિર ખુબ ખાસ છે.આ મંદિર અંગે એક માન્યતા પ્રચલિત છે જેનો સીધો સંબંધ આફત સાથે છે.
આ મંદિરમાં રહેતા હતા સંત બદ્રીનાથ
થોડા મહિના પહેલા જ ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલી તબાહીએ અનેક લોકોના જીવ લીધા હતા.આ જિલ્લાના જોશીમઠમાં ભગવાન નરસિંહને સમર્પિત એક મંદિર છે.સપ્ત બદ્રીમાંથી એક હોવાના કારણે આ મંદિરને નારસિંઘ બદ્રી કે નરસિંહ બદ્રી તરીકે પણ ઓળખવામાં આવે છે.એવું કહેવાય છે કે ઠંડી દરમિયાન સંત શ્રી બદ્રીનાથ આ મંદિરમાં રહેતા હતા.
પ્રલય આવશે અને બંધ થઈ જશે બદ્રીનાથનો રસ્તો
આ મંદિર અંગે એક ખાસ વાત એ છે કે અહીં સ્થાપિત ભગવાન નરસિંહની મૂર્તિ દરરોજ નાની થતી જાય છે.મૂર્તિનું ડાબુ કાંડુ એટલું પાતળું છે કે જેમ જેમ દિવસ પસાર થાય છે તે પાતળું જ થઈ રહ્યું છે.માન્યતા મુજબ જે દિવસે કાંડુ બિલકુલ પાતળું થઈને પ્રતિમાથી વિખુટું પડી જશે તે દિવસે બદ્રીનાથ જનારો રસ્તો હંમેશા માટે બંધ થઈ જશે.એવું પણ કહેવાય છે કે આ દિવસે પ્રલય આવશે અને ભૂસ્ખલન થવાના કારણે આ રસ્તામાં અવરોધ પેદા થઈ જશે