– રાહુલની મજુરો સાથેની મુલાકાતને સીતારમણે ગણાવ્યું નાટક
નવી દિલ્હી તા. ૧૮: લોકડાઉન લીધે પગપાળા પોતાના ગામ અને શહેરોમાં જવા નીકળી પડેલા પ્રવાસી મજૂરો બાબતે કોંગ્રેસ અને ભાજપા વચ્ચે રાજકીય લડાઇ વધી ગઇ છે.કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના મજૂરોને મળવા બાબતે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે આ નાટક છે અને તેનાથી મજૂરોનો સમય બગડયો છે.તો મજૂરોને ટ્રેન ભાડું આપવાની જાહેરાત કર્યા પછી હવે કોંગ્રેસે યુપીમાં મજૂરોને લઇ જવા માટે રાજસ્થાન-યુપી બોર્ડર પર પ૦૦ બસો ખડકી દીધી છે.
આ પહેલા શ્રમિક એકસપ્રેસ ટ્રેન અંગે રેલ્વે પ્રધાન અને કોંગ્રેસ શાસ્તિ રાજયોના મુખ્ય પ્રધાનો વચ્ચે બયાનબાજી થઇ ચૂકી છે.લોકસભામાં મળેલી હાર પછી કોરોના મહામારીમાં પ્રવાસી મજૂરોને બરાબર હેન્ડલ ન કરવાનો મુદે ઉઠાવીને કોંગ્રેસ પોતાના પુનરાગમનનો માર્ગ શોધી રહી છે.કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે પણ કોંગ્રેસના આક્ષેપો અને રાહુલનું મજૂરોને મળવું વગેરે બાબતે જોરદાર જવાબ આપ્યો છે.તેમણે પત્રકારોને કહ્યું કે રાહુલ ગાંધી કોંગ્રેસ શાસિત રાજયોને કેમ નથી કહેતા કે તેઓ વધારે ટ્રેન મંગાવે અને વધારેમાં વધારે મજૂરોને ઘરે બોલાવી લે.એવું લાગે છે કે કોંગ્રેસ શાસિત રાજયોમાં બધું બરાબર જ ચાલે છે.આમ કરવાના બદલે રાહુલ પગપાળા જતાં મજૂરો પાસે બેસીને તેમનો સમય બગાડી રહ્યા છે.આના કરતા તે મજૂરોની સુટકેસ અને બાળકોને તેડીને તેમની સાથે વાત કરતા કરતા ચાલત તો તેમનું કંઇક ભલું થાત.રાહુલનું રોડના કાંઠે બેસીને મજૂરો સાથે વાત કરવી એ ફકત નાટક બાજી છે.