નવી દિલ્હી,તા.2 : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીની મતગણતરીમાં શરુઆતમાં જે ટ્રેન્ડ જોવા મળ્યો છે તે પ્રમાણે મમતા બેનરજીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસ સ્પષ્ટ બહુમતી તરફ છે અને ભાજપની લીડ 100 કરતા ઓછી બેઠક પર રહી ગઈ છે.
આ સ્થિતિમાં હવે મમતા બેનરજીના કેમ્પેઈન મેનેજર પ્રશાંત કિશોરની ભવિષ્યવાણી સાચી પડશે કે કેમ તેના પર બધાની નજર છે.પ્રશાંત કિશોરે અગાઉ પણ કહ્યુ હતુ કે, બંગાળની ચૂંટણીમાં ભાજપ 100નો આંકડો પાર કરશે તો હું ચૂંટણી સ્ટ્રેટેજી બનાવવાનુ મારુ કામ છોડી દઈશ.
એટલુ જ નહી તેમણે એમ પણ કહ્યુ હતુ કે, મારુ ટ્વિટ તમે સેવ કરીને રાખો.આજે પણ તેમના એકાઉન્ટ પર આ ટ્વિટ છે અને તેમણે ફરી પણ કહ્યુ હતુ કે,જો ભાજપે ડબલ ડિજિટથી આગળ બેઠકો મેળવી તો હું ચોક્કસ બંગાળ છોડી દઈશ.
દરમિયાન એક્ઝિટ પોલમાં પણ ભાજપને 100 કરતા વધારે બેઠકો મળશે તેવી આગાહી તો થઈ જ હતી.જોકે હવે તમામ એક્સિઝટ પોલ શરુઆતના ટ્રેન્ડ પ્રમાણે ખોટા પડી રહ્યા છે.સવારે 11 વાગ્યા સુધીની મતગણતરી પ્રમાણે તો ભાજપને 100 કરતા નીચે બેઠકો મળી રહી છે.આ સંજોગોમાં પ્રશાંત કિશોરનો દાવો સાચો પડતો દેખાઈ રહ્યો છે.જોકે ભાજપ 100 કરતા ઓછી બેઠકો મેળવશે કે કેમ તે હજી કહેવુ વહેલુ છે.