અમદાવાદ : ફાયર સેફ્ટીના કાયદાનો અમલ ન કરનાર એકમો સામે ક્રિમિનલ ફરિયાદ કરાશે એવું મહત્ત્વનું નિવેદન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી હાઇકોર્ટ સમક્ષ કેસની સુનાવણી દરમિયાન કરવામાં આવ્યું છે.આ પ્રકારની કાર્યવાહી માટે તેમને અમદાવાદ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમક્ષ ડેઝિગ્નેટેડ કોર્ટ ફાળવવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે જેથી કેસોનો નિકાલ સરળતાથી થઈ શકે.આ મામલે ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ એ.જે.શાસ્ત્રીની ખંડપીઠે તરફથી પણ ડેઝિગ્નેટેડ કોર્ટ માટે હાઇકોર્ટ તરફથી વહીવટી સહકાર આપવાની તૈયારી દર્શાવવામાં આવી હતી.
કેસની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે ટકોર કરી હતી કે,‘જે રહેણાંક એકમો ફાયર સેફ્ટીની અમલવારી ન કરતા હોય તો તેમના પાણી અને વીજળીના કનેક્શન કાપી રાખવા જોઈએ.જેથી કરીને તેઓ સજાગ બની તાત્કાલિક કાર્યવાહી કરશે.એટલું નહીં પરંતુ એ વાતની પણ નોંધ લીધી કે શહેરમાં કોમર્શિયલ અને રહેણાંક પ્રકારના બાંધકામ છે.જો કોમર્શિયલ એકમમાં આગ લાગે તો,રહેણાંક મકાનો સુધી પહોંચી શકે છે.જેથી તેમની સામે કાર્યવાહી ઝડપી અને જરૂરી છે.’
અમદાવાદ કોર્પોરેશને શહેરમાં ફાયર સેફ્ટીની અમલવારી અંગે સોગંદનામુ પણ કર્યું હતુ.જે મુજબ અમદાવાદમાં હજુ પણ 1128 રહેણાંક ઇમરતો પાસે ફાયર સેફ્ટી NOC નથી.રહેણાંક અને કોમર્શિયલ ભેગા હોય તેવી 259 ઇમરતો પાસે ફાયર NOC નથી.26 કોમર્શિયલ ઇમારતો પાસે ફાયર NOC નથી.એમ કુલ 1416 ઇમારતો પાસે ફાયર NOC નથી.
રાજ્ય સરકાર વતી પણ સમગ્ર રાજ્યની પરિસ્થિતિનો ચિતાર આપવામાં આવ્યો હતો.જેમાં એવું સામે આવ્યું હતું કે રાજ્યની 85 ટકા ઇમારતો BU પરમિશન વિનાની છે.રાજ્યમાં કુલ 1360 થી વધુ સરકારી શાળા છે.જેમાં 12 જેટલી શાળામાં ફાયર સેફ્ટી હોવાનું સામે આવ્યું છે.જ્યારે 17 જેટલી સરકારી કોલેજોમાં ફાયર સેફ્ટીનો અભાવ હોવાનું સામે આવ્યું છે.જેથી ફાયર સેફ્ટી NOC વિનાની સરકારી શાળાઓ અને કોલેજો સામે પગલાં લેવા કોર્ટે હુકમ કર્યો છે.સાથે જ ટકોર કરી છે કે,‘સરકાર વિદ્યાર્થીઓના જીવને જોખમમાં ન મૂકે,’


