। લંડન ।
ભારતની બેન્કોને રૂ. ૯,૦૦૦ કરોડથી વધુ રકમનો ચૂનો લગાડીને લંડનમાં આશરો લેનાર વિજય માલ્યાને યુકેની હાઈકોર્ટ દ્વારા રાહત મળી છે. કોર્ટે તેને નાદાર જાહેર કરવા ઇનકાર કર્યો છે અને કેસની વધુ સુનાવણી હાલ મોકૂફ રાખી છે. એસબીઆઈનાં વડપણ હેઠળ ભારતીય બેન્કોનાં કોન્સોર્શિયમે માલ્યાને નાદાર જાહેર કરવાની માગણી કરી હતી જેને કોર્ટે ફગાવી છે.
ભારતની કોર્ટોમાં પેન્ડિંગ કેસોનો નિકાલ જરૂરી
લંડન હાઈકોર્ટની નાદારી બ્રાન્ચનાં ન્યાયાધીશ માઇક બ્રિગ્સે માલ્યાને રાહત આપતા કહ્યું હતું કે, જ્યાં સુધી ભારતની સુપ્રીમ કોર્ટમાં તેમની અરજીઓ પેન્ડિંગ છે અને કર્ણાટક હાઈકોર્ટમાં બેન્કો સાથે સમાધાન માટેની તેમની ઓફરનો નિકાલ ન આવે ત્યાં સુધી તેમને સમય આપવો જોઈએ. ચીફ ઇન્સોલ્વન્સી એન્ડ કંપની કોર્ટનાં ન્યાયાધીશ બ્રિગ્સે ગુરુવારે તેમનાં ચુકાદામાં કહ્યું હતું કે, ભારતની બેન્કોને હાલના તબક્કે માલ્યા સામે નાદારીની કાર્યવાહી આગળ ધપાવવા મંજૂરી આપવાનું કોઈ કારણ નથી. તેઓ લોનની તમામ રકમ પરત ચૂકવી શકે તે માટે સમય આપવો જોઈએ.
માલ્યા તમામ પૈસા પરત ચૂકવવા તૈયાર
કરોડોનું કૌભાંડ કર્યા પછી માલ્યા ભારત છોડીને બ્રિટન ભાગી ગયા હતા અને લંડનમાં રહેતા હતા. ભારત સરકારે તેમને ભાગેડુ જાહેર કર્યા છે. વિજય માલ્યાએ અગાઉ એક-બે વખત ભારતની બેન્કોને લોનની તમામ મુદ્દલ રકમ પરત ચૂકવવા અને તેની સામેનાં કેસ પાછા ખેંચી લેવા ઓફર કરી હતી. બેન્કો અને ઈડી આ ઓફર સ્વીકારવા તેમને મદદ કરતા નથી તેવી ફરિયાદ પણ તેમણે કરી હતી. તેમણે કોરોનાનાં સંકટ સમયે ભારતનાં નાણાપ્રધાન નિર્મલા સીતારામનને ટ્વિટ કરીને કિંગફિશરે લોનમાં લીધેલી તમામ રકમ પરત ચૂકવવા ફરી ઓફર કરી હતી.
લોકડાઉનના સમયમાં હું તમામ પૈસા ચૂકવવા ઓફર કરું છું
માલ્યાએ લખ્યું હતું કે ભારત સરકારે આખા દેશમાં લોકડાઉન જાહેર કર્યું છે. જો કે અમે તેને આવકારીએ છીએ. આને કારણે ભારતમાં મારી તમામ કંપનીઓની કામગીરી ઠપ થઈ ગઈ છે. તમામ પ્રકારનું ઉત્પાદન કાર્ય બંધ થઈ ગયું છે. આમ છતાં અમે અમારા કર્મચારીઓને છૂટા કર્યા નથી. તેમને વેતન ચૂકવીએ છીએ. સરકારે મારી ઓફર સ્વીકારીને મને મદદ કરવી જોઈએ.