નવી દિલ્હી,તા. 30 : ફ્રાંસમાં ઇસ્લામીક કટ્ટર ત્રાસવાદી દ્વારા સ્કૂલની શિક્ષિકા પર અને ચર્ચમાં ક્રિશ્ર્ચીયન શ્રધ્ધાળુઓ પર કરાયેલા હુમલા અને ચાર લોકોની હત્યા બાદ ફ્રાંસે કટ્ટરવાદીઓ સામે આકરા પગલાની જાહેરાત કરી છે અને પ્રમુખ ઇમ્યુનલ માર્કો કટ્ટરવાદને ડામી દેવા માટે પણ તૈયારી કરી છે.તે વચ્ચે જે કાર્ટુનનો વિવાદ સર્જાયો છે તેને વ્યક્તિગત સ્વતંત્રતા તરીકે ગણાવીને ફ્રાંસના પ્રમુખે જે બચાવ કર્યો તેના વિરોધમાં વિશ્ર્વના અન્ય દેશોની સાથે ભારતમાં પણ અનેક મુસ્લિમ સંગઠનોએ માર્ગો પર આવીને દેખાવો કરતાં કેન્દ્ર અને રાજ્ય સરકાર ચોંકી ગઇ છે અને શાંતિનો ભંગ કરનાર કોઇપણ સામે આકરા પગલા લેવાશે તેવી ચેતવણી આપી છે.ભીવંડી સહિતના વિસ્તારોમાં આજે માર્ગો પર ફ્રાંસના પ્રમુખ ઇમ્યુનલ માર્કોની તસવીરોના પોસ્ટર રોડ પર ચીપકાવાયા હતા અને હજારો લોકો તેના પરથી પ્રમુખની તસવીરોને કચડીને ચાલ્યા હતા.તથા વાહનો પણ તેના પરથી પસાર થયા હતા.અહીં મૌલાના અબ્બાસ રીઝવી કે જેઓ રઝા એકેડેમી ચલાવે છે તેમણે આ પોસ્ટર ચીપકાવા હોવાનું સ્વીકારતા કહ્યું કે લોકો ઉપરાંત કૂતરા-બિલાડા પણ ફ્રાંસના પ્રમુખની તસવીરો પર ચાલે છે.
બીજી તરફ ભોપાલમાં પણ આજે હજારો મુસ્લિમોએ માર્ગો પર આવીને ફ્રાંસના પ્રમુખ વિરુધ્ધ દેખાવો કર્યા હતા.કોંગ્રેસના ધારાસભ્ય આરીફ મસુદે માગણી કરી હતી કે ફ્રાંસની આ મુસ્લિમ વિરોધી પ્રવૃતિ બદલ કેન્દ્ર સરકારે ફ્રાંસ સામે વિરોધ વ્યક્ત કરવો જોઇએ.ઉતરપ્રદેશમાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીએ પણ આ પ્રકારે વિરોધ પ્રદર્શન કર્યા છે. કે રાજ્ય સરકારે જાહેર કર્યું છે કે શાંતિ ભંગના પગલાને સ્વીકારશે નહીં.