અમદાવાદ : નવી સ્કીમમાં ફ્લેટ લેવાની લોભામણી લાલચ આપીને 15 લોકો પાસેથી એડવાન્સ પેટે રૂ.55.10 લાખ પડાવીને મકાનનો કબજો કે એડવાન્સ પેટે ચૂકવેલા પૈસા પરત ન કરી 5 લોકોએ વિશ્વાસઘાત અને ઠગાઈ આચરી હતી.આ અંગે નારોલ પોલીસે પાંચેયના વિરુદ્ઘમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વિશ્વાસઘાત અને ઠગાઈનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.લાંભામાં રહેતા અને વકીલાત કરતા સૂર્યકાંતભાઈ પરમાર તેમની પત્ની સાથે અમદાવાદ શહેર તરફ આવી રહ્યા હતા ત્યારે નારોલ,વટવા,રામોલ,વસ્ત્રાલ અને નરોડામાં મકાન ખરદીવુ હોવાથી આવકના પુરાવા વિના હોમલોન મેળવી આપવાની તથા મકાન માલિક બનવા માટેની લોભામણી જાહેરાતો દર્શાવતા એક કેમ્પનું આયોજન જોયું હતું.ત્યાં જઈને તપાસ કરી ત્યારે ત્યાં હાજર દીપાલી પટેલ,ગંભીરભાઈ ડાભીએ જણાવ્યું હતું કે,જો તમારે તમારા નામનું મકાન લેવુ હોય તો 24 મહિના સુધી મળવાપાત્ર બે વર્ષના રૂ.10 હજાર સુધી કેશ બેક તથા 8.50 લાખ શરૂઆત ભવ્ય ટાઉનશિપ બધી સુવિધાઓથી સજ્જ છે તેવા પેમ્ફલેટ બતાવીને આવતીકાલ સુધીમાં મકાનનુ બુકિંગ કરાવશો તો રૂ.50 હજારનુ ફર્નિચર ફ્રી તથા એક તોલો સોનુ અથવા એક્ટિવા આપવામાં આવશે અને આજે કેમ્પનો છેલ્લો દિવસ છે તેમ જણાવ્યું હતું.જેથી મકાન ખરીદવાની ઈચ્છા હોવાના કારણે સૂર્યકાંતભાઈએ આ સ્કિમના સભ્ય બનવા રૂ.11 હજાર ભર્યા હતા.બાદમાં આ લોકોએ એક ફ્લેટ બતાવ્યો હતો જેની કિંમત રૂ.12 લાખ હતી અને દોઢ લાખ માંગ્યા હતા.એક લાખ રોકડ આપી હતી અને બાદમાં 10 લાખ માટેની લોન માટેના જરૂરી કાગળો લઈ આ લોકોની ઓફિસે ગયા હતા.બાદમાં આ લોકોએ ડી.જી.ગ્રૂપના લેટરપેડવાળી પહોંચી આપીને બાકીના રૂપિયાની લોન કરાવી આપવાની બાંહેધરી આપી હતી અને ધનતેરસના દિવસે તમોને તમારા મકાનની ચાવી આપી દેવાની વાત પણ કરી હતી.
ધનતેરસ ગયા પછી પણ દીપાલી,તેજસ,ગંભીર અને પ્રતીકે લોન કરાવી આપી ન હતી અને ફ્લેટના બુકિંગ પેટે લીધેલા રૂપિયા પણ પરત આપ્યા ન હતા.જેથી વેદિકા રેસિડેન્સીમાં બુકિગ કરાવેલા ફ્લેટમાં જઈને તપાસ કરી ત્યારે ફ્લેટનું કામ અધૂરુ હોવાનું જાણવા મળ્યું હતું.બાદમાં જાણવા મળ્યું હતું કે,આ ટોળકીએ બીજા 15 લોકોને મકાન આપવાનુ કહીને કુલ રૂ.55.10 લાખ પડાવી મકાન ન આપી વિશ્વાસઘાત કર્યો હતો.આ અંગે સૂર્યકાંતભાઈએ નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.


