પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીની તસવીર હવે સ્પષ્ટ થવા લાગી છે.બપોર સુધીના વલણમાં તૃણમૂલ કોંગ્રેસ ફરી એકવાર બંગાળમાં સરકાર બનાવતી દેખાઈ રહી છે.
વલણમાં ટીએમસીએ 200નો આંક પાર કર્યો છે.આ વલણ સાથે જ હવે નિવેદનબાજી પણ શરૂ થઈ ગઈ છે.
તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કાકોલી દાસ્ગીદારે રવિવારે બપોરે ટ્વીટ કરી અને લખ્યું કે ‘દીદી ઓ દીદી બોલનારા દાદા ક્યા ગયા? દાદાગીરી નહીં ચાલે,આ બાંગ્લા છે બંગાળ નથી.’
ઉલ્લેખનીય છે કે બંગાળમં વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટી સંખ્યામાં ચૂંટણી રેલીઓ કરી હતી.આ દરમિયાન ચૂંટણી સંબોધનમાં તેમણે મમતા બેનરજીને દરેક વખતે ‘દીદી ઓ દીદી’ કહીને જ સંબોધિત કર્યા.તેના પર ટીએમસીએ અનેક વખતે આપત્તિ પણ જાહેર કરી હતી.
બીજી તરફ તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ડેરેક ઓ બ્રાયને પણ ટ્વીટ કરી ભાજપ પર કટાક્ષ કર્યો છે.ડેરેકે અમિત શાહના એક નિવેદનને ટ્વિટ કર્યું છે,જેમાં અમિત શાહ દાવો કરે છે કે ભાજપ બંગાળમાં 200 બેઠકો જીતશે.જોકે અત્યારના વલણ મુજબ 200થી વધુ બેઠકો પર ટીએમસી આગળ છે.
ઉલ્લેખનીય છે કે બંગાળની 292 બેઠકો માટે રવિવાર પરિણામ જાહેર થઇ રહ્યા છે. બંગાળમાં ભાજપે આ વખતે પૂર્ણ તાકાત લગાવી હતી.પીએમ મોદી,અમિત શાહ,યોગી આદિત્યનાથ સહિત પાર્ટીના તમામ દિગ્ગજ ચૂંટણી પ્રચારમાં જોડાયા હતા.ભાજપને આશા હતી કે તે આ વખતે બંગાળમાં સરકાર બનાવી લેશે,પરંતુ આવુ થતું દેખાઇ નથી રહ્યું.