– પ. બંગાળમાં ધાર્મિક મેળાવડાને સરકારની મંજૂરી!
કોલકાતા/નવી દિલ્હી,
કોરોના સામેની લડતમાં સમગ્ર દેશમાં લોકડાઉનનો અમલ ચાલી રહ્યો છે તેવા સમયે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના ગોપિનાથપુર ગામમાં લોકડાઉનના નિયમોનો ભંગ કરતાં એક મસ્જિદમાં શુક્રવારની નમાજ પઢવા માટે ૧૦૦થી વધુ લોકો એકત્ર થયા હતા, જેના કારણે વિવાદ સર્જાયો છે.
ધાર્મિક મેળાવડા, નેતાઓ દ્વારા રાશનની વહેંચણી મુદ્દે ગૃહ મંત્રાલયનું આકરું વલણ,સચિવ-ડીજીપી પાસે જવાબ માગ્યો
વધુમાં પશ્ચિમ બંગાળમાં લોકડાઉનના નિયમોનો ભંગ કરીને ધાર્મિક મેળાવડાઓને મંજૂરી અપાતી હોવાના તેમજ નેતાઓ દ્વારા રાશનની વહેંચણી કરાવા મુદ્દે ગૃહમંત્રાલયે લાલ આંખ કરી છે અને મુખ્ય સચિવ તેમજ ડીજીપી પાસે તેનો જવાબ માગ્યો છે. પશ્ચિમ બંગાળમાં કોરોના વાઈરસના ૧૦ હોટસ્પોટ જાહેર કરાયા છે તેવા જ સમયે શુક્રવારે ગોપિનાથપુર ગામમાં શુક્રવારની નમાજ પઢવા માટે એક મસ્જિદમાં ૧૦૦થી વધુ લોકો એકત્ર થયા હતા. પોલીસને આ માહિતી મળતાં તેઓ તાત્કાલિક મસ્જિદમાં પહોંચ્યા હતા અને લોકોને લોકડાઉનના આદેશનો ભંગ નહીં કરવા વિનંતી કરી હતી. લોકો ન માનતા અંતે મસ્જિદના ઈમામની મદદથી લોકોને ઘરે મોકલી દેવાયા હતા.
બીજીબાજુ કેન્દ્રીય ગૃહમંત્રાલયે પશ્ચિમ બંગાળમાં લોકડાઉનનું પાલન નહીં થવા અંગે લાલ આંખ કરી છે. મંત્રાલયે પશ્ચિમ બંગાળમાં આવશ્યક વસ્તુઓ સિવાયની દુકાનો પણ ખુલ્લી રહેતી હોવા અને ધાર્મિક મેળાવડાઓને મંજૂરી અપાવા સામે તેમજ અધિકારીઓના બદલે નેતાઓ દ્વારા રાશનનું વિતરણ કરવા સામે વાંધો ઉઠાવ્યો છે. આ અંગે ગૃહ મંત્રાલયે પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ અને ડીજીપીને કડક શબ્દોમાં વખોડી કાઢ્યા છે અને તેમનો જવાબ માગ્યો છે.
ગૃહમંત્રાલયના પત્રમાં દાવો કરાયો છે કે પશ્ચિમ બંગાળમાં શાકભાજી, માછલી અને માંસ બજારો પર કોઈ અંકુશ નથી. અહીં સોશિયલ ડિન્ટન્સિંગના માપદંડોનો ભંગ થાય છે. રાજ્ય સરકાર તરફથી છૂટનો દાયરો વધી રહ્યો છે. બીનજરૃરી સામાનની દુકાનોને પણ ખુલ્લી રાખવાની મંજૂરી અપાઈ છે. મફત રાશનનું વિતરણ સાંસ્થાનિક વિતરણ વ્યવસ્થાના બદલે નેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ બધી બાબતોથી કોવિડ-૧૯નું સંક્રમણ ફેલાઈ શકે છે. આ પ્રકારની પ્રવૃત્તિઓ કેન્દ્રના આદેશોનો ભંગ છે અને તે દંડનીય કૃત્ય છે.