– બંગાળની જનતા દીદીને તેમના પાપોની સજા આપવા તૈયારઃ વડાપ્રધાન
નવી દિલ્હી, તા. 24 માર્ચ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ફરી એક વખત પશ્ચિમ બંગાળના ચૂંટણી મેદાનમાં ગર્જના કરી છે.વડાપ્રધાને કાંથી ખાતે ચૂંટણી સભાને સંબોધી હતી અને બીજી મેના રોજ ભારતીય જનતા પાર્ટી બંગાળમાં સરકાર બનાવશે તેવો હુંકાર કર્યો હતો.વડાપ્રધાને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આકરા પ્રહારો કર્યા હતા અને આ ધરતી પર કોઈ બહારનું નથી તેમ જણાવ્યું હતું.
બીજી મેએ દીદીની વિદાય નક્કી
વડાપ્રધાને કહ્યું કે, જે યુવાનો પહેલી વખત મત આપી રહ્યા છે તેમના માટે આ ચૂંટણી ખૂબ મહત્વની છે.બંગાળમાં હવે સાચા પરિવર્તનની જરૂર છે,જે ફક્ત ભાજપ જ લાવી શકશે.બીજી મેએ દીદીની વિદાય નક્કી છે.મમતા દીદી આજકાલ મેદિનીપુરમાં આવીને બહાના બનાવી રહ્યા છે.
વડાપ્રધાને કહ્યું કે, બંગાળની જનતા દીદીને તેમના પાપોની સજા આપવા તૈયાર છે. જ્યારે જનતાને જરૂર હોય છે ત્યારે દીદી દેખાતા નથી.ભાજપ સરકાર અહીં સ્કીમને સ્કેમ બનાવતા અટકાવશે.વધુમાં કહ્યું કે,બંગાળે સમગ્ર ભારતને વંદે માતરમનો નારો આપ્યો.બંગાળની ભૂમિ પર કોઈ બહારનું નથી,ગુરૂદેવની ધરતી પર કોઈ બહારનું નથી.


