૮મી વખત બજેટ રજૂ કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ : સ્થાનિક સ્વરાજ્યોની ચૂંટણીના વર્ષમાં પ્રભાવ : યુવાનો, મહિલાઓ, ખેડૂતો માટે જાહેરાત : મોટો કરબોજ નહિ : ગુજરાતના વિકાસને વેગ આપવાનો પ્રયાસ
ગાંધીનગર તા. ૨૬ : રાજ્યમાં વિધાનસભા બજેટ સત્રનો આજથી પ્રારંભ થઇ રહ્યો છે. ગઇ તા. ૧૦ ફેબ્રુઆરીએ એક દિવસનું સત્ર મળ્યા બાદ સત્રની કાર્યવાહી સ્થગિત રહેલ તે આજથી પુનઃ શરૂ થઈ રહી છે. બપોરે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલ રાજ્યનું નવા નાણાકીય વર્ષનું બજેટ રજુ કરશે. તાલુકા – જિલ્લા પંચાયતો અને કોર્પોરેશનોની ચૂંટણીનું વર્ષ હોવાથી આકર્ષક બજેટ આવે અને ખાસ કરીને યુવાનો – ખેડૂતો માટે વિશેષ યોજના જાહેર થાય તેવા નિર્દેશ છે. બજેટમાં ખાસ કરીને ખેડૂતો, યુવાનો, મહિલાઓ માટે વિશેષ જાહેરાતો હોવાનું અનુમાન થઈ રહ્યુ છે. સત્રને અનુલક્ષીને વિપક્ષ કોંગ્રેસે સરકારને ભીડવવા માટે રણનીતિ ઘડી છે. એલ.આર.ડી. ભરતીમાં અનામત અંગેનો પરિપત્ર, આદિવાસીઓ દ્વારા પ્રમાણપત્ર અંગે ચાલતુ આંદોલન, ખેડૂતોનો પાક વીમો, બેરોજગારી, કાયદો વ્યવસ્થા, મોંઘવારી વગેરે બાબતે કોંગ્રેસ ગૃહમાં સમય સમય પર ધબધબાટી બોલાવે તેવો મિજાજ છે. બંને પક્ષે સત્ર આરંભી પૂર્વે પોતાના ધારાસભ્યોની બેઠક બોલાવી હતી. પોલીસ દ્વારા વિધાનસભા સંકુલ આસપાસ સજ્જડ સુરક્ષા ગોઠવવામાં આવી છે. ૮મી વખત બજેટ રજૂ કરી રહેલા નાણામંત્રી નીતિન પટેલના આ વખતના પટારામાંથી સ્થાનિક સ્વરાજ્યોની ચૂંટણીલક્ષી જાહેરાતો, રાહતો અને યોજનાઓ નિકળે તો તે સ્વભાવિક ગણાશે. દિલ્હીની જેમ રાજ્ય સરકાર પણ કોઈ ટોકન ભાવની અથવા નિઃશુલ્ક પ્રજાલક્ષી યોજના જાહેર કરે તો નવાઈ નહિ. ચૂંટણીનું વર્ષ હોવાથી મોટા કરબોજની સંભાવના જણાતી નથી. ગુજરાતમાં ખેડૂત વર્ગ મોટો હોવાથી બજેટ તેને કેન્દ્રમાં રાખીને ગ્રામીણલક્ષી બનાવવામાં આવ્યુ હોય તેવી ધારણા છે. વેપારીઓ અને ઉદ્યોગો માટે પણ ખાસ જોગવાઈ હોય શકે છે. આ લખાય છે ત્યારે વિધાનસભાની કાર્યવાહી શરૂ થવાની સંભાવના છે. નીતિન પટેલનુ બજેટ પ્રવચન પુરૂ થાય પછી કરબોજ અને કર રાહતો અંગેનું ચિત્ર સ્પષ્ટ થશે. આજના બજેટ તરફ ગુજરાતવાસીઓની મીટ છે. બજેટ સત્ર દરમિયાન સત્ર દરમિયાન કામકાજના કુલ ૨૨ દિવસ રહેશે અને એકંદરે ગૃહની ૨૫ બેઠકો મળશે. જેમાં સરકારી વિધેયકો અને સરકારી કામકાજ માટે કુલ ૩ બેઠકો મળશે અને સમગ્ર સત્ર દરમિયાન ૩ બેઠકો દરમિયાન બિનસરકારી વિધેયકો અને અન્ય ત્રણ બેઠકો દરમિયાન બિન સરકારી સંકલ્પો હાથ ધરાશે. જેમાં મુખ્યત્વે પ્રજાને સ્પર્શતા મુદ્દાઓ કે સભ્ય દ્વારા સુચવવામાં આવેલ કાયદાકીય જોગવાઇઓ સંદર્ભેમાં ગૃહમાં વ્યાપક ચર્ચા હાથ ધરાશે. જ્યારે છેલ્લા દિવસે એટલે કે ૩૧ માર્ચના રોજ પ્રસ્તાવ હાથ ધરાશે. સત્રમાં અવારનવાર રાજકીય ગરમાવો આવે તેવી પ્રબળ સંભાવના છે.