મધ્ય પ્રદેશમાં રાજકીય ઘમાસાણ અટકવાનું નામ નથી લઈ રહ્યું. રાજ્યપાલ તરફથી બેવાર આદેશ મળવા છતા ફ્લોર ટેસ્ટથી ઈનકાર કરી ચુકેલી કોંગ્રેસ હવે બાગીઓને મનાવવાના પ્રયત્નો કરી રહી છે. કોંગ્રેસમાંથી બાગી બનેલા સિંધિયા જૂથના 22 ધારાસભ્યો 10 દિવસથી બેંગ્લોરમાં છે, આથી બુધવારે સવારે પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ અને કમલનાથ સરકારના ઘણા મંત્રીઓ બેંગ્લોર પહોંચી ગયા. પરંતુ કર્ણાટક પોલીસે તેમને રમાદા હોટેલની બહાર અટકાવી દીધા. ત્યારબાદ તમામ કોંગ્રેસ નેતા રસ્તા પર ધરણા પર બેસી ગયા. પોલીસે દિગ્વિજય સિંહની સાથે કાંતિલાલ ભૂરિયા અને સચિન યાદવ સહિત 10 કોંગ્રેસ નેતાઓને કસ્ટડીમાં લીધા. આ નેતાઓને અમરુતાહલ્લી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા. દિગ્વિજયે કહ્યું કે, હવે તેઓ પોલીસ સ્ટેશનમાં ભૂખ હડતાલ કરશે.
દિગ્વિજય સિંહે કહ્યું, પોલીસ અમને ધારાસભ્યોને મળવા નથી દઈ રહી. હું મધ્ય પ્રદેશનનો રાજ્યસભા ઉમેદવાર છું. 26 તારીખે રાજ્યસભા ચૂંટણી માટે વિધાનસભામાં વોટિંગ થવાનું છે. અમારા ધારાસભ્યોને અહીં હોટેલમાં બંધક બનાવીને રાખવામાં આવ્યા છે. તેઓ અમારી સાથે વાત કરવા માગે છે, પરંતુ તેમના મોબાઈલ છીનવી લેવામાં આવ્યા છે. ભાજપના નેતા અરવિંદ ભદૌરિયા અને કેટલાક ગુંડાઓ અંદર છે. ધારાસભ્યોના જીવને જોખમ છે. મારી પાસે હાથમાં ન તો બોમ્બ છે, ના પિસ્તોલ અને ના કોઈ હથિયાર છે. છતા પણ પોલીસ મને રોકી રહી છે. મને મળવા દો, ત્યારબાદ જતો રહીશ.તેમાં પ્રોબ્લેમ શું છે.
પોલીસ કસ્ટડીમાં દિગ્વિજયે કહ્યું, બેંગ્લોરમાં ભાજપની સરકાર છે. પોલીસ પણ તેમના ઈશારાઓ પર કામ કરી રહી છે. મને તો ભાજપના રાજમાં પણ તેમની પોલીસથી ડર નથી લાગી રહ્યો. પરંતુ ભાજપ નેતાઓને કઈ વાતનો ડર છે, શું તેઓ પોતે પોતાની પોલીસથી ડરી રહ્યા છે? હું અહીં ગાંધીવાદીરીતે પોતાના ધારાસભ્યોને મળવા આવ્યો છું. આશા છે કે, તેઓ જલદી પાછા આવી જશે. 5 ધારાસભ્યો સાથે મારી વાત થઈ તો તેમણે બંધક બનાવાયા હોવાની જાણકારી આપી. હોટેલમાં 24 કલાક પોલીસનો પહેરો છે. ધારાસભ્યોની દરેક ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે.
દિગ્વિજય સિંહ ઉપરાંત મંત્રી તરૂણ ભનોત, સજ્જન સિંહ વર્મા, હર્ષ યાદવ, ધારાસભ્ય કાંતિલાલ ભૂરિયા, આરિફ મસૂદ, કુણાલ ચૌધરી પણ બેંગ્લોર ગયા છે. અહીં પહોંચવા પર કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડી. કે. શિવકુમાર તેમને લેવા પહોંચ્યા હતા.
બળવાખોર MLAને મનાવવા બેંગ્લોર ગયેલા દિગ્વિજયને પોલીસે પકડ્યા
Leave a Comment

