– અસદુદ્દીન ઓવૈસીએ ટ્વીટ કરી
– વડાપ્રધાનને હોદ્દાના સોગન યાદ કરાવ્યા
નવી દિલ્હી તા. 5 ઑગષ્ટ 2020 બુધવાર
હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ આજે ટ્વીટ કરતાં લખ્યું હતું કેં અભી બાબરી મસ્જિદ જિંદા હૈ… આજે અયોધ્યામાં રામ મંદિર માટે ભૂમિ પૂજન કરનારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ઓવૈસીએ વડા પ્રધાન તરીકે સેક્યુલર રહેવાના સોગન ખાધા હતા એની યાદ તાજી કરાવતાં વડા પ્રધાન ભૂમિ પૂજન કરે એ સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.
ઓવૈસીએ ટ્વીટર પર વડા પ્રધાનને બેવડાં ધોરણવાળા ગણાવ્યા હતા અને લખ્યું હતું, બાબરી થી, બાબરી હૈ ઔર બાબરી રહેગી…ઇન્શાલ્લાહ…
આજે અયોધ્યામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિર માટેની જમીનનું પૂજન કરશે એ સામે વિરોધ વ્યક્ત કરતાં ઓવૈસીએ લખ્યું કે તમે વડા પ્રધાન તરીકે સોગન લીધા ત્યારે સેક્યુલર રહેવાના સોગન લીધા હતા. તો આજે તમે હિન્દુ ધર્મસ્થળ માટે ભૂમિપૂજન શી રીતે કરી શકો ? તમારું આ કાર્ય બંધારણના ભંગ સમાન ગણાશે.
જો કે ઓવૈસીની આ ટ્વીટના પ્રતિભાવ રૂપે તરત અનેક લોકોએ જવાબ આપવા માંડ્યા હતા.એક વ્યક્તિએ લખ્યું હતું કે તમે સુપ્રીમ કોર્ટના ચુકાદાનું અપમાન કરી રહ્યા છે.આ તો કોર્ટના તિરસ્કારનો ગુનો બને છે.તમારી ટ્વીટ સાબિત કરે છે કે તમારી રગેરગમાં અને તમારા ધર્મમાં અન્ય ધર્મના લોકોના અધિકાર પર બળજબરીથી દાવો કરવાનું અને બીજાના અધિકારનો અનાદર કરવાનું રહેલું છે.બાબરે આ જ કામ કર્યું હતું જે અત્યારે તમે કરી રહ્યા છો.
ઓવૈસીએ એવો દાવો કર્યો હતો કે ઇતિહાસ સાક્ષી છે કે છેલ્લાં 400 વર્ષથી અયોધ્યામાં બાબરી મસ્જિદ હતી જેને આપરાધિક મનોદશા ધરાવતા ઝનૂની ટોળાએ તોડી પાડી હતી.આ એક અપરાધી કૃત્ય હતું જેને ઇતિહાસ કદી માફ નહીં કરે.ઓવૈસી આવેશમાં આવીને લખી રહ્યા હોય એવું એમના શબ્દો પરથી સમજી શકાતું હતું.

