– 10 વર્ષના જેલવાસ પછી પણ અમીનાબીબીએ ડ્રગ્સ વેચવાનું ચાલુ રાખ્યું હતું
– અગાઉ જમાલપુરમાં બુટલેગરના ગેરકાયદે મકાન પર બુલડોઝર ફેરવાયું હતું
અમદાવાદ : અમદાવાદ મ્યુનિ. મધ્યઝોને વધુ એક કિસ્સામાં નશા સામે બુલડોઝરનું અભિયાન ચાલુ રાખ્યું છે.ડ્રગ્સ સાથે પકડાયેલી અમીનાબીબીના ગેરકાયદે બાંધકામને બુધવારે મ્યુનિ.એ તોડી પાડ્યું હતું.અગાઉ જમાલપુરમાં પણ બુટલેગર અને જુગારધામ ચલાવતા આરોપીનું ગેરકાયદે મકાન મ્યુનિ.એ તોડી પાડ્યું હતું.મધ્યઝોનમાં મ્યુનિ.એ ગઇકાલે બુધવારે દરિયાપુરમાં વાણિયા શેરીના નાકે ગેરકાયદે બાંધેલા મકાનને મ્યુનિએ.તોડી પાડ્યું હતું.
તંત્રએ 180 ચો.મી.નું 3 માળનું બાંધકામ તોડી પાડ્યું
પોલીસે આ બાબતે મ્યુનિ. પાસે અમીના બીબીના મકાનની કાયદેસરની પૃચ્છા કર્યા બાદ મ્યુનિ. તંત્ર હરકતમાં આવતાં 180 ચો.મી.નું 3 માળનું બાંધકામ તોડી પાડ્યું હતું.નોંધનીય છે કે અમીનાબીબી આ પહેલા અલગ અલગ ગુનામાં 10 વર્ષનો જેલવાસ ભોગવી આવી હતી છતાં પણ તેણે ડ્રગ્સનો કારોબાર ચાલુ રાખ્યો હતો.
જમાલપુર સિંધીવાડ ખાતેના દારેહરન ફ્લેટને તોડી પાડ્યો
આ પહેલા મધ્યઝોનના એસ્ટેટ વિભાગે દારૂ-જુગારનો અડ્ડો ચલાવનાર અને જેનો વીડિયો ફરતો થયા બાદ બુટલેગરનું ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યું હતુ.જેમાં જમાલપુર સિંધીવાડ ખાતેના દારેહરન ફ્લેટને તોડી પાડ્યો હતો.મ્યુનિ. મધ્યઝોન એસ્ટેટે પોલીસ સાથે મળીને આવા અસામાજીક તત્ત્વો ખાસ કરીને નશાના કારોબાર સાથે સંકળાયેલા તત્ત્વો સામે બુલડોઝર અભિયાન ચાલુ કર્યું છે.
37 જેટલાં મકાનોના દબાણ દૂર કરાયા
તે ઉપરાંત દક્ષિણઝોનમાં મ્યુનિ.એ વટવાના ધ્રુવનગરમાં બાકીના 37 જેટલાં મકાનોના દબાણ દૂર કરીને 900 મીટરનો રસ્તો ખૂલ્લો કર્યો હતો.વિરાટનગરમાં પણ મરઘા ફાર્મ રોડ પરની 20 દુકાન, 4 શેડ તથા 22 ઓટલા અને 12 ક્રોસ વોલ તોડી પાડી 400 મીટરનો ટી.પી. રસ્તો ખુલ્લો કર્યો હતો.