વર્ષોથી વેરો નહીં ભરતા કાર્યવાહી હાથ ધરાય
બારડોલી નગરપાલિકાના વેરા વિભાગ દ્વારા સોમવારના રોજ કડક કાર્યવાહી શરૂ કરતાં બાકીદારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. પાલિકાની ટીમે 5 મિલકતોને સીલ કરી હતી જ્યારે એક મિલકતના નળ અને ગટર કનેક્શન કાપી નાંખવામાં આવ્યા હતા.
બારડોલી નગરપાલિકા દ્વારા વર્ષોથી વેરા નહીં ભરનાર મિલકત ધારકો સામે લાલ આંખ કરી છે. હિસાબી વર્ષ અંતિમ તબક્કામાં હોય વધુને વધુ વેરાની વસૂલાત થઈ શકે તે માટે બારડોલી નગરપાલિકા દ્વારા કડક હાથે કામ લેવામાં આવી રહ્યું છે. ફેબ્રુઆરીના અંત સુધીમાં 77 ટકા વેરાની વસૂલાત કરવામાં આવી હતી અને માર્ચના અંત સુધીમાં વસૂલાત 90 ટકા સુધી પહોંચાડવા માટે પાલિકાએ કમર કસી હતી. જો કે કેટલાક મિલકત ધારકો વર્ષોથી વેરો ભરતા ન હોય તેઓની રકમ લાખો રૂપિયાને વટાવી ગઈ હતી. જે પૈકી ગત દિવસો દરમ્યાન ચાર નળ કનેક્શન કાપવામાં આવ્યા હતા. દરમ્યાન સોમવારના રોજ ફરી એક વખત પાલિકાએ વેરો નહીં ભરનાર મિલકત ધારકો સામે કાર્યવાહી શરૂ કરી હતી. જેમાં ગાંધી રોડ પર બીનીતા પાર્કની બાજુમાં આવેલ અમીબેન ગિરધારી લાલના મકાનના 1 લાખ 4 હજાર રૂપિયા બાકી હોય તેમની મિલકતના નળ અને ગટર કનેક્શન કાપી નાંખવામાં આવ્યા હતા. આ ઉપરાંત સ્ટેશન રોડ પર આવેલ ક્રિષ્ના મોલના પ્રથમ માળે આવેલ ચાર દુકાનોના 2 લાખ રૂપિયા અને જૂના પાવર હાઉસ ખાતે આવેલ આઈસ ફેક્ટરીના મકાનના 1.33 લાખ રૂપિયા વેરો બાકી હોય તેને સીલ કરી દેવામાં આવ્યું હતું. પાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલ કડક કાર્યવાહીના પગલે અન્ય બાકીદારોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. બીજી તરફ વેરો નહીં ભરનાર અન્ય મિલકત ધારકો સામે પણ આ જ રીતે કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું વેરા વિભાગના સૂત્રો તરફથી જાણવા મળ્યું હતું.