બારડોલી : સુરત જિલ્લાની બારડોલી નગરપાલિકા સહિત બારડોલી અને મહુવા તાલુકાના કુલ 13 ગામોમાં વિકેન્ડ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.બારડોલી પ્રાંતના નાયબ કલેક્ટર દ્વારા શનિવાર અને રવિવારના રોજ આવશ્યક સેવા સિવાય તમામ જાહેર બજારો બંધ રાખવાની લોકોને અપીલ કરવામાં આવી છે.
વધી રહેલા કોરોના સંક્રમણને લઈને સુરત જિલ્લામાં સ્થિતિ વધુ સ્ફોટક બનતી જાય છે. અનેક પ્રયાસો છતાં કોરોના પર કોઈ કાબૂ મેળવી શકાયો નથી.જિલ્લાના બારડોલીમાં ગત રોજ પણ 100 થી વધુ કેસો નોંધાયા હતા.છતાં શહેરમાં ક્યાય પણ સોશ્યલ ડિસ્ટન્સ કે કોરોનાની ગાઈડલાઇનનું પાલન કરવામાં આવતું નથી.ગત અઠવાડિયે 13થી 18 એપ્રિલ સુધી સ્વૈચ્છીક લોકડાઉન બાદ બજાર ખૂલતાં જ દુકાનોમાં લોકોની ભીડ જમા થવા લાગી હતી.કોરોના ગાઈડલાઇનનું પાલન કરાવવામાં વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર પણ તદ્દન નિષ્ક્રિય જોવા મળ્યું હતું.પોલીસ માત્ર રસ્તાઓ પર મોટર સાયકલ પર જતાં લોકો પાસેથી દંડ વસૂલવામાં વ્યસ્ત જોવા મળી રહી છે.જ્યારે દુકાનોમાં લોકોની ભીડ ઉમટી રહી હોવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી.એ જ રીતે દુકાનદારોના રેપિડ ટેસ્ટ કરવા બાબતે પણ વહીવટી તંત્ર દ્વારા મોટી મોટી વાતો કરવામાં આવી હતી પરંતુ બજારમાં ક્યાય રેપિડ ટેસ્ટની ટીમ પણ નજરે પડતી નથી.
આ પરિસ્થિતી વચ્ચે તંત્ર દ્વારા બારડોલી શહેર ઉપરાંત તાલુકાનાં 7 ગામો અને મહુવા તાલુકાનાં 6 ગામોમાં વિકેન્ડ લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ લોકડાઉન શુક્રવારે રાત્રે 8 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી લાગુ રહેશે.આ સમય દરમ્યાન આવશ્યક સેવાઓ સિવાય તમામ દુકાનો અને બજારો બંધ રાખવાની અપીલ કરવામાં આવી છે.બારડોલી શહેર ઉપરાંત તાલુકાનાં વધુ સંક્રમણ ધરાવતા ગામો તેન, બાબેન, ઇસરોલી, ધામડોદ લુંભા,કડોદ,મઢી,સુરાલીમાં બે દિવસ માટે બજારો બંધ રહેશે. એ જ રીતે મહુવા તાલુકામાં તાલુકા મુખ્ય મથક મહુવા,અનાવલ,વલવાડા,કરચેલીયા,ઓંડચ અને શેખપુર ગામના બજારો બંધ રાખવાની પણ અપીલ એસડીએમ દ્વારા કરવામાં આવી છે.વકરી રહેલા કોરોનાને કારણે વિકેન્ડ લોકડાઉન કરી સંક્રમણની ચેન તોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે.જો કે છેલ્લા ત્રણ અઠવાડીયાથી આ કરવામાં આવી રહ્યું છે.તેમ છતાં કેસો સતત વધતાં જોવા મળી રહ્યા છે ત્યારે તંત્રએ આ બાબતે કોઈ અન્ય વિકલ્પ વિચારવો જોઈએ તેવું પણ લોકો માની રહ્યા છે.